________________ Errorl Reference source not found. Error! Reference source not found. 83 ગુહાશ્રમ સંબંધી વિચારો મૂકવાનો હેતુ - તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન અને નિવાસ - જગતની વિચિત્રતા ત્રિકાળ વિ. સં. 1945 અત્ર કુશળતા છે; આપના તરફની ઇચ્છું છું. આજે આપનું જિજ્ઞાસુ પત્ર મળ્યું. તે જિજ્ઞાસુ પત્રના ઉત્તર બદલ જે પત્ર મોકલવું જોઈએ તે પત્ર આ છે : આ પત્રમાં ગૃહાશ્રમ સંબંધી મારા કેટલાક વિચારો આપની સમીપ મૂકું છું. એ મૂકવાનો હેતુ માત્ર એટલો જ છે કે, કોઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન-વલણ થાય, અને તે ક્રમ જ્યારથી આરંભવો જોઈએ તે કાળ હમણાં જ આપની પાસે આરંભાયો છે, એટલે તે ક્રમ જણાવવાનો ઉચિત સમય છે; તેમ જણાવેલા ક્રમના વિચારો ઘણા સાંસ્કારિક હોઈને પત્ર વાટે નીકળ્યા છે; આપને તેમ જ કોઈ પણ આત્મોન્નતિ વા પ્રશસ્ત ક્રમને ઇચ્છનારને તે ખચીત વધારે ઉપયોગી થઈ પડશે એમ માન્યતા છે. તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો, ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો ? કેમ આવ્યા છો ? તમારી સમીપ આ સઘળું શું છે ? તમારી તમને પ્રતીતિ છે ? તમે વિનાશી, અવિનાશી વા કોઈ ત્રિરાશી છો ? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે; અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે; યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે; એ જ વિચારોના વિવેકથી જે અવ્યાબાધ સુખની ઇચ્છા છે, તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારોના મનનથી અનંત કાળનું મૂંઝન ટળવાનું છે; તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દ્રષ્ટિથી જોતાં તેને છેવટ સુધી પામનારાં પાત્રોની ન્યૂનતા બહુ છે; કાળ ફરી ગયો છે; એ વસ્તુનો અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે; અને ભાગ્યહીન અપાત્ર બન્ને લોકથી ભ્રષ્ટ થાય છે, એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે; કદાપિ તે ગુફાદર્શનની તેની ઇચ્છા ન હોય તોપણ પોતાનાં આ ભવનાં સુખને અર્થે પણ જમ્યા તથા મૂઆની વચ્ચેનો ભાગ કોઈ રીતે ગાળવા માટે પણ એ અભ્યાસની ખચીત જરૂર છે. એ કથન અનુભવગમ્ય છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે. ઘણા આર્ય સપુરુષો તે માટે વિચાર કરી ગયા છે; તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શોધી, તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે, અનેક ક્રમ બાંધ્યા છે; તે મહાત્મા જયવાન હો ! અને તેને ત્રિકાળ નમસ્કાર હો ! આપણે થોડીવાર તત્ત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી, આર્યોએ બોધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છીએ, તે સમયમાં જણાવી જવું યોગ્ય જ છે કે, પૂર્ણાહલાદકર જેને માન્યું છે, પરમ સુખકર, હિતકર, અને હૃદયમય જેને માનેલ છે, તેમ છે, અનુભવગમ્ય છે, તે તો તે જ ગુફાનો નિવાસ છે; અને નિરંતર તેની