________________ 55 કર્મ જડ વસ્તુ - અબોધતાની પ્રાપ્તિનું કારણ - સમત્વશ્રેણીથી ચેતનશુદ્ધિ - મોક્ષ હથેળીમાં વવાણિયા, ફાલ્વન સુદ 9, રવિ, 1945 નીરાગી મહાત્માઓને નમસ્કાર કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે, કે પોતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે ! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષો તે કર્મસંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વસંયોગો સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્ધ્વશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે. કોઈ પણ આત્મા ઉદયી કર્મને ભોગવતાં સમત્વશ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે, તો ખચીત ચેતનશુદ્ધિ પામશે. આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સંપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સદગુરૂત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી, નહી તો નિશ્ચય છે, કે મોક્ષ હથેળીમાં છે, ઇષતપ્રાગ્બારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશો.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.