________________ શિક્ષાપાઠ 99. સમાજની અગત્ય આંગ્લભૌમિઓ સંસાર સંબંધી અનેક કલાકૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે ? એ વિચાર કરતાં આપણને તત્કાલ જણાશે કે તેઓનો બહુ ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું. કળા કૌશલ્યના એ ઉત્સાહી કામમાં એ અનેક પુરુષોની ઊભી થયેલી સભા કે સમાજે પરિણામ શું મેળવ્યું ? તો ઉત્તરમાં એમ આવશે કે લક્ષ્મી, કીર્તિ અને અધિકાર. એ એમનાં ઉદાહરણ ઉપરથી એ જાતિનાં કળાકૌશલ્યો શોધવાનો હું અહીં બોધ કરતો નથી, પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણી શ્રીમંત અને ધીમંત બન્નેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું. પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી, ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સંસારી કળા કૌશલ્યથી મળે છે, પરંતુ આ ધર્મકળાકૌશલ્યથી તો સર્વ સિદ્ધિ સાંપડશે. મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા. મતમતાંતર તજી, વાડામાં બેસી રહેવા કરતાં એમ કરવું ઉચિત છે. હું ઇચ્છું છું કે તે કૃત્યની સિદ્ધિ થઈ જૈનોતર્ગચ્છ મતભેદ ટળો, સત્ય વસ્તુ ઉપર મનુષ્યમંડળનું લક્ષ આવો; અને મમત્વ જાઓ !