________________ શિક્ષાપાઠ 84. તત્ત્વાવબોધ - ભાગ 3 નવ તત્ત્વનું કાળભેદે જે સપુરુષો ગુરૂગમ્યતાથી શ્રવણ, મનન અને નિદિધ્યાસનપૂર્વક જ્ઞાન કરે છે, તે સપુરુષો મહાપુણ્યશાળી તેમ જ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞ પુરુષોને મારો વિનયભાવભૂષિત એ જ બોધ છે કે નવ તત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવાં. મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દ્રષ્ટિગોચર છે. વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અબજની ગણાઈ છે; તેમાં સર્વ ગચ્છની મળીને જૈનપ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણોપાસક છે. એમાંથી હું ધારું છું કે નવ તત્ત્વને પઠનરૂપે બે હજાર પુરુષો પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષો પણ નહીં હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે ત્યારે જ મતમતાંતર વધી પડ્યા છે. એક લૌકિક કથન છે કે ‘સો શાણે એક મત’ તેમ અનેક તત્ત્વવિચારક પુરુષોના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી. એ નવતત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરૂગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ બુદ્ધિમાન કરવું; એથી તેઓનાં પવિત્ર પંચમહાવ્રત દ્રઢ થશે; જિનેશ્વરનાં વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે; મુનિ–આચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વનો ઉદય થશે, પરિણામે ભવાંત થઈ જશે.