________________ શિક્ષાપાઠ 49. તૃષ્ણાની વિચિત્રતા (મનહરછંદ) (એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને, અહો રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી; વધે તૃષનાઈ તોય જાય ન મરાઈને. 1 (2). કરોચળી પડી દાઢી ડાચાં તણો દાટ વળ્યો, કાળી કેશપટી વિષે શ્વેતતા છવાઈ ગઈ, સૂંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી, હાંડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ; અરે ! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. 2 કરોડોના કરજના શિર પર ડંકા વાગે, રોગથી રૂંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો, પેટ તણી વેઠ પણ, શકે ન પુરાઈને | પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાઈને; અરે ! રાજચંદ્ર તોય જીવ ઝાવા દાવા કરે, જંજાળ છંડાય નહીં, તજી તૃષનાઈને. 3 (4) થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને; છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તો ખીજી બુદ્દે સૂચવ્યું એ, બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને ! અરે ! રાજચંદ્ર દેખો દેખો આશાપાશ કેવો ? જતાં ગઈ નહીં ડોશે મમતા મરાઈને ! 4