________________
૨૧૦
જિનતત્ત્વ ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવ જંજાલેઃ રહે શેલડી ઢાંકી રાખી, કે તો કાલ પરાલે ? શ્રી ભદ્રબાહુસ્વામીએ દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિમાં લખ્યું છે :
उरग-गिरि-जलण-सागर-नहयल-तगणसमो य जो होइ । समर-मिग-धरणि-जलरह-रवि-पवणसमो जओ समणो ।।
શ્રી ભદ્રબાહુસ્વામીએ આ એક જ ગાથામાં સાધુ ભગવંત માટે અગિયાર ઉપમા આપી દીધી છે. સાધુ ભગવંત સર્પ (ઉરગ), પર્વત, અગ્નિ, સાગર, આકાશ (નભતલ), વૃક્ષ, ભ્રમર, મૃગ, ધરણી, કમળ, સૂર્ય અને પવન જેવા હોવા જોઈએ.
સાધુ ભગવત સર્પ જેવા હોવા જોઈએ એનો અર્થ એ કે સર્પ બીજાના કરેલા ઘર (દર)માં રહે છે, આહારનો સ્વાદ લેતો નથી તથા દરમાં દાખલ થતી વખતે ગતિ તદ્દન સીધી રાખે છે. એવી રીતે સાધુ ભગવંત બીજાએ બનાવેલા સ્થાનમાં રહેનારા, આહારમાં આસક્તિ ન ધરાવનારા અને સંયમ માર્ગમાં સીધી ગતિ કરનારા હોય છે. સાધુ ભગવંત પર્વત જેવા અડોલ, અગ્નિ જેવા તેજસ્વી, સમુદ્ર જેવા ગંભીર અને મર્યાદાવાળા, આકાશ જેવા નિરાલંબ, કમળ જેવા નિર્લેપ, સૂર્ય જેવા પ્રકાશમાન, પવન જેવા નિબંધ હોવા જોઈએ. સાધુ ભગવંત માટે આવી ૮૪ પ્રકારની ઉપમાઓ શાસ્ત્રગ્રંથોમાં આપવામાં આવી છે.
જૈન ધર્મમાં ચારનું શરણું લેવાનું કહ્યું છે. એ ચાર તે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીપ્રણીત ધર્મ. આ ચારમાં સાધુને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એ પરથી સાધુપદનો મહિમા સમજાશે. સિદ્ધ પરમાત્માએ આઠ્ઠ કર્મનો ક્ષય કર્યો છે એટલે એ તો સર્વોચ્ચ આદર્શ છે. અરિહંત ભગવાને ચાર ધાતી કર્મનો ક્ષય કર્યો હોય છે. દેહધારી જીવોમાં તેઓ પણ સર્વોચ્ચ સ્થાને છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મા પછી સાધુનું શરણું લેવામાં આવે છે. અરિહંત અને સિદ્ધમાં કોઈ ન્યૂનતા નથી હોતી, પણ સાધુમાં ન્યૂનતા હોઈ શકે છે. આમ છતાં સાધુ પદને એટલું મહત્ત્વ આપવાનું એક કારણ એ છે કે સિદ્ધ પરમાત્મા પરોક્ષ છે અને અરિહંત ભગવાનનો પ્રત્યક્ષ લાભ બધાંને ન મળી શકે. પરંતુ અરિહંત ભગવાનના વિરહકાળમાં પણ સાધુ ભગવંતનો યોગ સર્વસુલભ હોય છે. સાધુ પદમાં અહીં આચાર્ય અને ઉપાધ્યાયનું પદ સંનિહીંત છે. આ શ્રમણવર્ગ અનેક જીવોને સંસારના ભયથી બચાવી મોક્ષમાર્ગ બતાવે છે, મોક્ષમાર્ગ પર આરૂઢ કરાવે છે અને અનેક જીવોને મોક્ષમાર્ગમાં આગળ વધવામાં સહાયરૂપ થાય છે. એટલા માટે સાધુ ભગવંતનું શરણ અત્યંત મહત્ત્વનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org