________________
૧૧૭
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ ધર્મમાં તથા શિલ્પાદિ કલામાં વ્યવસ્થિત રીતે મહત્ત્વનું સ્થાન મળી ચૂક્યું હતું. કોઈક આયાગપટ્ટમાં અષ્ટમંગલની વચ્ચે તીર્થકર ભગવાનની આકૃતિ કોતરવામાં આવી છે. આબુ, દેલવાડા, ખજૂરાહો વગેરે ઘણાં પ્રાચીન જૈન મંદિરોમાં અષ્ટમંગલની આકૃતિની કોતરણી થયેલી છે. પ્રાચીન જૈન હસ્તપ્રતોમાં પણ અષ્ટમંગલનું ચિત્રાંકન જોવા મળે છે. અષ્ટમંગલનો મહિમા જૈન ધર્મમાં સૌથી વિશેષ છે. પ્રત્યેક તીર્થંકરના સમયમાં આઠ પ્રતિહાર્યની જેમ અષ્ટમંગલ હોય જ એમ મનાય છે.
મંગલ વસ્તુઓ તો અનેક હોય. શુભ પ્રસંગે માણસે કેટલી વસ્તુઓનાં દર્શન કરવા જોઈએ ? માણસે જેમ એ વિષયમાં વિસ્તાર કર્યો તેમ સંક્ષેપ પણ કર્યો. એમ કરતાં કરતાં આઠ વસ્તુઓ પર તે સ્થિર થયો. એ આઠ વસ્તુઓનાં સાક્ષાત દર્શનમાં પણ વાર લાગે. એટલે એક જ સ્થળે એકસાથે આઠે વસ્તુઓની આકૃતિ આવી જાય એવી યોજના થઈ. એ વ્યવહારુ અને સરળ બની. આરંભમાં કદાચ માણસ આઠે આકૃતિઓ સ્વહસ્તે દોરતો કે બીજા પાસે દોરાવતો હશે. પણ પછીથી તો કોતરેલી કે દોરેલી આકૃતિવાળા તૈયાર મળતા પાટલા કે પાટલીનો ઉપયોગ માણસ કરવા લાગ્યો.
જેન, બોદ્ધ અને બ્રાહ્મણ પરંપરાની કેટલીક કલાકૃતિઓમાં એક અથવા વધુ માંગલિક આકૃતિઓ કોતરવામાં આવેલી જોવા મળે છે. પરંતુ આ બધી માંગલિક આકૃતિઓમાંથી ફક્ત આઠની જ પસંદગી કરીને એને “અષ્ટમંગલ' તરીકે પ્રચલિત કરવામાં અને એને પૂજનીય ગણવામાં જૈન ધર્મનો સૌથી વધુ ફાળો છે. પ્રાચીન કાળથી અષ્ટમંગલની આ પરંપરા જૈન ધર્મમાં વર્તમાન સમય સુધી જીવંત અને પ્રચલિત રહી છે અને આજે પણ જૈન મંદિરોમાં અષ્ટમંગલ'ની ધાતુની પાટલીની પૂજા થાય છે. તીર્થંકર ભગવાનની પૂજા કર્યા પછી અંતે અષ્ટમંગલની પૂજા કરવાનો રિવાજ છે. પ્રત્યેક શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન મંદિરમાં અષ્ટમંગલની પાટલી અવશ્ય હોય જ છે. મોટાં પૂજનો વખતે પણ પાટલા પૂજનમાં એક પાટલા પર અષ્ટમંગલની આઠ આકૃતિઓ ચાંદીના પતરામાં દોરેલી હોય છે અને એનું પૂજન કરવામાં આવે છે.
બ્રાહ્મણ પરંપરા કરતાં જૈન અને બૌદ્ધ પરંપરામાં મંગલ વસ્તુઓની આઠની સંખ્યા સવિશેષ સ્થિર થયેલી છે. આઠનો સંખ્યાંક એટલો બધો દૃઢ થઈ ગયો કે ક્યાંક સાત કે નવ કે અગિયાર મંગલ આકૃતિઓ દોરવામાં કે કોતરવામાં આવી હોય તો પણ તે “અષ્ટમંગલ' તરીકે જ ઓળખાતી રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org