SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ ૩૪. સવચૂંઠ અને સોમચંદની ખાનદાની જૈનોના તીર્થધામોમાં શત્રુંજય પર્વત ઘણો જ પવિત્ર ગણાય છે. ગુજરાતના અમદાવાદથી લગભગ ૨૪૦ કી. મી. દૂર આવેલા પાલીતાણા શહેરમાં તે આવેલો છે. તે તેની નવ ટૂંક માટે જાણીતો છે. તેમાંની એક પર્વતની ટોચ પર ચૌમુખજીની ટૂંક આવેલી છે. અહીં ત્યાં બંધાયેલા મંદિરોની રસપ્રચુર વાર્તા રજૂ થાય છે. ૧૬ મી સદીની વાત છે. જ્યારે મોગલ સમ્રાટ અકબર ભારત પર રાજય કરતો હતો ત્યારે ગુજરાત રાજયમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રાંતમાં વંથળી નામના નાના શહેરમાં સવચંદ જેરામ નામનો વેપારી રહેતો હતો. તેનો વેપાર ઘણો મોટો હતો. ઇન્ડોનેશિયા અને બીજા દેશોમાં માલની નિકાસ કરવા ઘણાં વહાણોનો ઉપયોગ કરતો. મુસાફરી દરમિયાન એક દેશમાંથી માલ ખરીદતો અને બીજા બંદરે સારા નફાથી વેચતો. કિંમતી માલ-સામાન સાથે એક વખત તેમનો બાર વહાણનો કાફલો નીકળ્યો. તેમના માણસોએ પરદેશના બંદરે બધો માલ વેચી દીધો અને પાછા ફરતાં એવો જ કિંમતી માલ ખરીદતા આવ્યા. પાછા ફરતાં સમુદ્રના પ્રચંડ તોફાનમાં તેઓ ફસાયા અને એક ટાપુ પર રોકાઈ જવું પડ્યું. એ સમય દરમિયાન ચોમાસુ બેસી જવાથી તે ટાપુ પર મહિનાઓ સુધી તેઓને રોકાઈ જવું પડ્યું. લાંબા સમય સુધી વહાણો પાછા ન ફરવાને લીધે સવચંદના વહાણ વિભાગના પ્રતિનિધિએ વહાણો ક્યાં અટવાયાં છે તેની તપાસ શરૂ કરી. ઘણાં પ્રયત્નો કરવા છતાં વહાણનો કાફલો ક્યાં છે તે જાણી નહિ શકવાથી તેમણે વહાણો ગુમ થયા તેની જાણ સવચંદને કરી. સવચંદને આ ઘણું મોટું નુકસાન હતું. તેણે પરદેશના વેપાર માટે ઘણી મોટી મૂડી રોકી હતી અને વહાણો પાછા ફરતાં મોટો વેપાર કરી સારું એવું ધન મેળવીને આવશે એવી આશા હતી. વહાણોને કારણે જે નુકસાન થયું તે ઘણું મોટું હતું. તેને પૈસાની તંગી વર્તાવા લાગી. લેણદારોને પૈસા પાછા આપવાની પણ મુશ્કેલી પડવા લાગી. વહાણો ગુમ થયાના સમાચાર લોકોમાં ફેલાયા તેની સાથે લોકો સવચંદે બધું ગુમાવી દીધું છે તેવી વાતો કરવા લાગ્યા, અને પોતાની મૂડી ન ડૂબે તે હેતુથી કડક ઉઘરાણી કરવા લાગ્યા. સવચંદ ખૂબ જ પ્રામાણિક અને ધાર્મિક પ્રકૃતિનો માણસ હતો. તેની પાસે જે કંઈ બચ્યું હતું તેમાંથી શક્ય એટલાને તેમની મૂડી પાછી આપવાના પ્રયત્નો કર્યા. વંથળીની નજીક આવેલા માંગરોળનો રાજકુમાર પણ તેમાંનો એક હતો. તેણે રૂા. એક લાખ સવચંદને ત્યાં મૂક્યા હતા. આ ઘણી મોટી મૂડી કહેવાય કારણ કે ત્યારનો એક રૂપિયા બરાબર આજના રૂ. ૨૫૦થાય. જયારે રાજકુંવરે સવચંદના વહાણો ડૂબી ગયાનું જાણ્યું ત્યારે તે પણ અધીરો થઈ ગયો અને પોતાની મૂડી પાછી માંગી. સવચંદ આવડી મોટી રકમ તાત્કાલિક આપી શકે તેમ ન હતો. એણે રાજકુમારને પોતે પૈસા મેળવી શકે ત્યાં સુધી થોભવા કહ્યું. પણ રાજકુમારને તો તાત્કાલિક પૈસા જ જોઈતા હતા. સવચંદનું નામ અને આબરુ અત્યારે દાવ પર હતાં. પોતાની આબરુ બચાવવા એણે રાજકુમારને પૈસા આપવાનો રસ્તો શોધવાનો હતો. તે સમયે અમદાવાદમાં સોમચંદ અમીચંદ નામનો સાધર્મિક વેપારી રહેતો હતો. સવચંદને એની સાથે કોઈ ધંધાદારી સંબંધ ન હતો. પણ તેણે સોમચંદની પેઢી વિશે અને તેની ખાનદાની વિશે સાંભળ્યું હતું. તેના મનમાં એકાએક એક વિચાર આવ્યો. રાજકુમારને સોમચંદની પેઢીના નામે એક હૂંડી લખી આપવી જેથી રાજકુમારને શાંતિ થાય. રાજકુમાર તો આ રીતે પણ પૈસા મળતા હોય તો કબુલ હતો. સોમચંદની મંજૂરી વગર તેણે રાજકુમારને સોમચંદની પેઢીના નામે હૂંડી લખી આપી. કોઈ ધંધાદારી સંબંધ ન હોવાને કારણે સવચંદને એવો કોઈ હક્ક ન હતો તેથી તે ખૂબ ઉદાસ થયો અને તેની આંખોમાંથી આંસુ નીકળીને ગાલ પર રેલાવા લાગ્યા. 132 જૈન કથા સંગ્રહ
SR No.201034
Book TitleSavchanda ane Somchanda ni Khandani
Original Sutra AuthorN/A
AuthorJAINA Education Committee
PublisherJAINA Education Committee
Publication Year2010
Total Pages3
LanguageGujarati
ClassificationArticle, Jaina_Education, & 0_Jaina_education_Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy