________________
અર્પણ
સ્વ.શ્રી કાન્તિલાલ ત્રિભોવદાસ શાહ
જેઓના નિયમિત ગીતા પઠનના સંસ્કારે મને આ પુસ્તક લખવાની પ્રેરણા આપી તેવા
સ્વ. પિતાશ્રીના સાનિધ્યમાં
આ પુસ્તક સાદર સમર્પિત છે.
પ્રસ્તાવના
વૈશ્વિક ફલક પર શ્રીમદ્ ભગવદ્ગીતાનું સ્થાન અદ્વિતીય છે. કારણ કે તેમાં વેદોના સાર રૂપ એવા ઉપનિષદોના સારાંશને કેન્દ્રમાં રાખીને મનુષ્યમાત્રને સ્વસ્થ્ય, સાત્ત્વિક જીવન જીવવાની અને આત્માનુભૂતિને માણવાની કળા શીખવતો ગ્રંથ છે. નથી તેમાં કોઇ એક દર્શનાત્મકવાદ કે નથી કોઇ એક ધર્મનું પ્રતિપાદન, તેથી તે દેશ કાલ કે સંપ્રદાયની મર્યાદાથી પર છે.
ગીતા સ્પષ્ટપણે માને છે કે વ્યક્તિને તેના કર્મના આધારે તેને પ્રકૃતિ (સ્વભાવ) અને પ્રારબ્ધ (ભાગ્ય) પ્રાપ્ત થાય છે. એ પ્રકૃતિ અને પ્રારબ્ધ અનુસાર એનું કર્મ અને જીવન નિશ્ચિત થાય છે. જેના આધારે તે જ્ઞાન, કર્મ અને ભક્તિને પ્રાપ્ત કરે છે. બુદ્ધિ એટલે જ્ઞાન, ઇચ્છા એટલે કર્મ અને ભાવ એટલે ભક્તિ આ ત્રણેયના સમન્વયથી મનુષ્ય તેના નિયત લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આનાથી વિપરિત પરિસ્થિતિ એટલે કે અજ્ઞાનથી અંધકાર, અનિચ્છાથી આળસ, જડતા અને અભાવથી અવિશ્વાસ (દ્રઢતાનો અભાવ) પ્રાપ્ત થાય છે. જેથી પરમતત્ત્વની (લક્ષ્યની) પ્રાપ્તીમાં અવરોધો આવે છે. આપણે નથી અંધકારમાં રહેવા માંગતા, નથી પ્રગતિ વગરની અનિચ્છામાં રહેવા માંગતા, નથી આળસ કે જડતામાં જીવવા માંગતા કે નથી લાગણીશૂન્ય ભાવિહિત જગતમાં જીવવા માંગતા.
આ સંદર્ભમાં આપણને જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેયની જરૂર છે. આ ત્રણેયના સમન્વયથી સાંસરિક, આધ્યાત્મિક જીવન પીડારહિત જીવીશું. આ બધાનો વિચાર કરતાં ગીતાનું તત્વજ્ઞાન બુદ્ધિયુક્ત અને વ્યવહારું છે. જે લગભગ બધાને સ્વીકાર્ય બને છે.