________________
મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ. ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દૃષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ. ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ્ય પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ. ૧૬ મન વચન કાયાને કર્મની વર્ગણા, છૂટે જિહાં સકલ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ. ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શના, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદ રૂપ જો. અપૂર્વ. ૧૮ પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ. ૧૯