________________
૧૮ |
નિષ્ફળતા માટે જવાબદાર પરમાત્મા !
ખેતરમાં ઘઉનો સરસ પાક લહેરાતો જોઈને ખેતરમાંથી પસાર થતા સંતે ખેડૂત પ્રતિ પ્રસન્નતા પ્રગટ કરતાં કહ્યું, “વાહ, કેવો સરસ પાક થયો છે. આ વર્ષે તારા પર ભગવાનની કૃપા અનરાધાર વરસી છે.”
ખેડૂતે સંતને કહ્યું, “આમાં ભગવાનની કૃપાની વાત ક્યાં આવી ? મેં આકરી મહેનત કરીને ખેતર ખેડ્યું. એમાં વાવણી કરી. મંધી કિંમતનાં બી વાવ્યાં અને સમયસર ખાતર-પાણી આપ્યાં, એનું આ પરિણામ છે.”
તારી વાત સાચી, પણ ભગવાનની કૃપાને કારણે જ તને સફળતા મળી ને !” સંતે કહ્યું.
“ના મહારાજ, સારો પાક લેવા માટે મેં નથી રાત જોઈ કે નથી દિવસ જોયો. સતત આકરી મહેનત કરતો રહ્યો છું. આ તો મારા પરિશ્રમનું ફળ છે, પરમાત્માની કૃપાનું કારણ નથી.”
સંતે કોઈ ઉત્તર આપ્યો નહીં, સ્મિત સાથે વિદાય લીધી. એકાદ વર્ષ બાદ ફરી સંત આ રસ્તેથી પસાર થતા હતા અને એમણે જોયું તો ખેતરમાં ખેડૂત લમણે હાથ મૂકીને ઊંડી નિરાશા સાથે બેઠો હતો. એનું ખેતર સાવ ઉજ્જડ લાગતું હતું.
સંત એની પાસે ગયા અને સાંત્વના આપતાં કહ્યું, “ઓહ, ગયે વર્ષે સારો પાક થયો હતો, આ વર્ષે આવું કેમ ?”
ખેડૂતે કહ્યું, “મહારાજ, શું કહું તમને ? ભગવાને મને તબાહ કરી નાખ્યો. મારી સઘળી મહેનત વ્યર્થ ગઈ. ભગવાને સર્જેલી ભયાનક આંધીએ મારા આખા પાકને બરબાદ કરી નાખ્યો.'
સંતે કહ્યું, “આ અગાઉ હું આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે આવો સરસ પાક થયો, તેમાં ઈશ્વરની કૃપા પણ કારણરૂપ છે, ત્યારે તે મારી વાત સ્વીકારી નહોતી. મને કહ્યું હતું કે આ તો માત્ર ને માત્ર મારા પરિશ્રમનું ફળ છે. એમાં પરમાત્માની કૃપાનો કોઈ અંશ નથી. આજે જ્યારે તું બરબાદ થઈ ગયો છે, ત્યારે ભગવાનને દોષ આપે છે, તે કેવું ? સારા કાર્યનું શ્રેય તું એકલો જ લે છે અને કશુંક ખરાબ થાય તો બિચારા ભગવાનને દોષિત માને છે.”
ખેડૂત વિચારમાં પડ્યો. સંતની વાત પણ સાચી હતી. કોઈ સારું કાર્ય થાય તો માણસ પોતે એ કાર્ય કર્યાનો અહંકાર અનુભવે છે અને કશું ખરાબ કે અઘટિત બને તો દોષનો વેપલો ઈશ્વરને શિરે મૂકે છે, આ તે કેવું ?
36 B પ્રસન્નતાનાં પુષ્પો
પ્રસન્નતાનાં પુષ્પો [ 37