________________
૭૮ મૃત્યુ સમયે અજાણી વ્યક્તિ યમરાજ લાગે છે
ભય પાસે લગીરે શક્તિ નથી. ભયભીત સ્વયં ભયને શક્તિમાન બનાવે છે. ભયને વાગોળી વાગોળીને એ પુષ્ટ કરે છે. ભય એ વ્યક્તિ પરનું કોઈ બાહ્ય આક્રમણ નથી, પરંતુ વ્યક્તિના સ્વયંના નિમંત્રણને કારણે એ એના મનભુવનનો અતિથિ બને છે અને પછી માલિક બની જાય છે. ભયની ‘સવારી’ જોવા જેવી છે. પહેલાં વ્યક્તિમાં ભય જાગે કે આ કાર્ય સિદ્ધ થશે કે નહીં અને પછી જો એ ભયવશ થઈ જાય તો એ કાર્ય કરી શકતી નથી. પહેલાં ભય લાગે કે મારો વેપાર ચોપટ તો નહીં થઈ જાય ને ! અને ધીરે ધીરે એનો એ ભય વ્યાપારની રીતરસમોમાં પણ વ્યાપી વળશે. હું બીમાર પડી જઈશ તો શું થશે ? એવો ભય સતત સેવનાર વ્યક્તિ બીમાર પડે છે અને કદાચ એમાંથી ઊગરી જાય તોપણ એનું મન તો રોગગ્રસ્ત બની રહે છે !
કેટલાક ભય વ્યક્તિ સામે ચાલીને ઊભા કરે છે, જે મ કે આ પ્રવાસમાં જઈશ અને અણધાર્યું મૃત્યુ થશે તો ! વિમાન આકાશમાંથી એકાએક તૂટી પડશે તો ? બુઢાપામાં કોઈ ખૂબ પીડાકારી રોગ લાગુ પડશે તો ! ભયનો આવો પ્રવેશ થતાં વ્યક્તિ નિષ્ક્રિય બની જાય છે. પહેલાં મન ભયમાં ડૂબે છે , પછી બુદ્ધિ. એ બુદ્ધિ ભયને બહેકાવતી રહે છે. એની ઇચ્છાશક્તિ ધીરે ધીરે નિર્બળ કરતી રહે છે અને વ્યક્તિનાં અંગો શિથિલ થઈ જાય છે.
જેમજેમ વ્યક્તિ પોતાના ભયને વ્યક્ત કરતી જાય તેમતેમ એનું મન નકારાત્મક બનતું જાય છે અને પહેલાં બારી વાટે પ્રવેશેલો ભય મનનાં સઘળાં બારણાંઓ પોતાને માટે ખોલી દે છે. રૂઢ માન્યતા, સમય-સંદર્ભ ગુમાવી બેઠેલા રિવાજો, વિચારશૂન્ય ગતાનુગતિકતા અને જડ ઘાલી ગયેલી અંધશ્રદ્ધા ભયનાં પૌષ્ટિક તત્ત્વો છે. એને વૃક્ષમાં ભૂત દેખાય, ઘરમાં પ્રેત ભમતું નજરે પડે અને અવસાન સમયે અજ્ઞાત વ્યક્તિ યમરાજ લાગે છે.
પોતે પરમ શ્રેષ્ઠ અને અન્ય સાવ સામાન્ય
કેટલા બધા બેવડા માપદંડથી માનવી વિચારે છે ! એ પોતાની જાત વિશે વિચારે, ત્યારે પ્રશંસા કે અહોભાવથી ભરપૂર દૃષ્ટિએ વિચારે છે. પોતાના જીવનની પ્રત્યેક ક્રિયાને એ યોગ્ય ઠેરવે છે. પોતાની કાર્યપદ્ધતિને એ ઉત્તમ માને છે અને પોતાની વિચારશૈલીને સર્વશ્રેષ્ઠ ગણે છે.
એ જ વ્યક્તિ અન્યના જીવન વિશે વિચારે છે, ત્યારે એને વિશે ટીકા કે નિંદાપૂર્ણ નકારાત્મક દૃષ્ટિકોણ રાખે છે. એની પ્રત્યેક ક્રિયામાંથી ક્ષતિ શોધે છે. એની કાર્યપદ્ધતિને સાવ ઢંગધડા વિનાની માને છે અને એના વિચારમાં કોઈ તથ્ય હોવાનો સદા ઇન્કાર કરે છે, આ રીતે વ્યક્તિ પોતાના કાર્યને યથાર્થ ઠેરવવા માટે તમામ શક્તિ કામે લગાડતી હોય છે.
જો અન્ય વ્યક્તિ કાર્ય સિદ્ધ કરવામાં નિષ્ફળ જાય, તો તે એને બિનકાર્યક્ષમ માને છે. એની અણઆવડતની ટીકા કરે છે અને એની નિષ્ફળતાને એની ઘોર આળસનું પરિણામ બતાવે છે, જ્યારે વ્યક્તિ પોતે નિષ્ફળ જાય ત્યારે પોતાની અણઆવડતને બદલે સંજોગો કે પરિસ્થિતિને દોષ આપે છે. પોતાની આળસ કે પ્રમાદને બદલે બીજાએ નાખેલા અવરોધોની વાત કરે છે અને આ રીતે પોતાની નિષ્ફળતાને સફળતા જેવી બતાવવા માટે રાત-દિવસ કોશિશ કરે છે. એ બીજી
વ્યક્તિ પાસે શિષ્ટાચારની અપેક્ષા રાખે છે, આદર અને માન મેળવવા ઇચ્છે છે.
આમાં કોઈ વ્યક્તિ નિષ્ફળ જાય તો એને શિષ્ટાચારની સમજવિહોણી કહે છે, વખત આવે અસભ્ય ઠેરવે છે; જ્યારે પોતાની અસભ્યતાને એ પોતાના આગવાપણામાં ઠેરવવા કોશિશ કરે છે. એની ઉશૃંખલતાને એ એની આધુનિક છટા તરીકે ઓળખાવવા પ્રયાસ કરે છે. વ્યક્તિની પોતાને માટે જુદી ફૂટપટ્ટી હોય છે અને બીજાને માટે એનાથી સાવ અવળો માપદંડ હોય છે.
80
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ.