________________
આરંભે
કોમી એકતા, ધર્મો વચ્ચે બિરાદરી અને બિનસાંપ્રદાયિકતા એ આપણી ધરતીનો અને ભારતીય સંસ્કૃતિનો અમર સંદેશ છે. જુદાં જુદાં સ્થળોએથી ભારતવર્ષમાં આવેલી ભિન્ન ભિન્ન ધર્મો પાળતી અને ભાષાઓ બોલતી પ્રજાઓ અહીં એક સાથે રહે છે. ક્યારેક એ એકતામાં અલગતા કે વિખવાદ જગાવવા પ્રયત્ન થાય છે. કોઈ માનવી પોતાના સ્વાર્થી હેતુઓને સિદ્ધ કરવા ધર્માધતા કે ધર્મઝનૂન જગાવે છે. એક કોમને ખોટી રીતે ભંભેરીને બીજી કોમ સામે લડવા ઉશ્કેરે છે. એક ધર્મ પાળનાર અન્ય ધર્મીને મારવા ઊભો થાય છે.
ધર્મ એ ઈશ્વરને પામવાનો માર્ગ છે, આથી કોઈ ધર્મ નથી ઊંચો કે કોઈ ધર્મ નથી નીચો. કોઈ કામ નથી ઊંચી કે નથી નીચી. આવી વિશાળ ધર્મભાવના રાખીને એકતા કે ભાઈચારા કાજે, ધર્મ કે સત્ય કાજે, હસતે મુખે શહાદત વહોરી લેનારાઓની આ કથાઓ છે. બીજી કોમ ખાતર બલિદાનની વેદી પર હોમાઈ જનારાઓની આ કથાઓમાં બિરાદરીના મહાન આદર્શનો રણકાર સંભળાય છે.
આ પુસ્તકને ભારત સરકાર તરફથી નવશિક્ષિતો માટેની રાષ્ટ્રવ્યાપી સાહિત્ય-સ્પર્ધામાં પારિતોષિક પ્રાપ્ત થયું હતું અને સરકાર તરફથી એની મોટી સંખ્યામાં નકલો ખરીદવામાં આવી હતી.
આજે આ પુસ્તક નવસંસ્કરણ પામીને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત થાય છે તે માટે તે સંસ્થાનો અને શ્રી મનુભાઈ શાહનો આભારી છું.
આશા છે કે આ પુસ્તક રાષ્ટ્ર પ્રત્યે ભક્તિ, સિદ્ધાંત માટે સ્નેહ અને નેકટેક કાજે જાનફેસાનીની ભાવના જગાડશે.
કુમારપાળ દેસાઈ
૧૨-૪-૨૦૧૭ અમદાવાદ