________________
એણે આજ્ઞા આપી : ‘વૈશાલીને જમીનદોસ્ત કરો, ને એનાં ખંડેરો પર ગધેડા જોડી હળ ફેરવો !'
રાજા અજાતશત્રુની આજ્ઞાનો તરત અમલ કરવામાં આવ્યો, ને નાનાં નાનાં હળ તૈયાર કરાવીને સપ્તભૂમિ પ્રાસાદ પર ને સંથાગારનાં ખંડેરો પર એ ફેરવવામાં આવ્યાં.
જોતજોતામાં હજારો હળ ફરવાથી આખી પૃથ્વી સમતલ થઈ ગઈ, અને અહીં કોઈ વખત કોઈ મહાનગરી હતી, અને મહાન ગણશાસન હતું, એ વાત જાણે પૃથ્વીના પેટાળમાં સમાઈને ગઈગુજરી બની ગઈ ! લોકો પણ આ શાપિત નગરીને છોડીને બીજે હિજરત કરી ગયા; સુકાયેલા સરોવરને જોઈને હંસ ચાલ્યા જાય તેમ થયું !
એક સારા દિવસે રાજા અજાતશત્રુ પોતાના સૈન્ય સાથે રાજધાની તરફ પાછો ફર્યો. પણ એની પાછળ મહામારી પડી ગઈ અને એના બચેલા હજારો સૈનિકો યમને દ્વાર પહોંચી ગયા ! સડેલાં નરકંકાલોના ભાણથી કૂતરાં-બિલાડાં પણ રોગગ્રસ્ત થયાં, ને મચ્છર ને ઉદરથી આખી નગરી વસી ગઈ, ને એમાંથી મહારોગનો પિશાચ આળસ મરડીને ખડો થયો ને બચેલાં માણસો કરાળ કાળનો કોળિયો બની ગયાં !
સહુ નાસભાગ કરી રહ્યાં , મર્દોની હિંમતના છક્કા છૂટી ગયા, પણ આમ્રપાલી અને ફાલ્ગની, આ મહામારીની ખબર પછી પણ, આ યુદ્ધપ્રદેશને ન છોડી ગઈ.
જ્યાં વૈદ્યો પણ આવવાની હિંમત ન કરી શકતા, ત્યાં વૈદ્યો પાસેથી ઔષધો ને શુદ્ધ ખાનપાન લઈને આ બંને સ્ત્રીઓ ઘરેઘરમાં ઘૂમી અશક્તોની સુશ્રુષા કરતી. આવી રૂપાળી સ્ત્રીઓ આવા ઘોર પ્રદેશમાં ઘૂમી રહે, એ લોકોને અસંભાવ્ય લાગતું.
તેઓ આ બંનેને આકાશની દેવીઓ સમજીને પૂજતા, અથવા મહાસ્મશાનની ચુડેલો માની ભયથી ધ્રુજતા. છતાં રોગ અને ભૂખે તેઓને એવા વિવશ બનાવ્યા હતા કે ચુડેલના હાથનું ખાઈને પણ સહુ જીવ બચાવવા ઇચ્છતા.
છતાં સાચી રીતે તો જીવ બચતો જ નહિ. મોત માથા પર આવીને બેસી ગયેલું રહેતું. ઔષધ કે અન્નની પ્રાપ્તિથી મોતને પોતાના હાથ પ્રસારવામાં જરાક વિલંબ લાગતો એટલું જ.
ધીરે ધીરે રાજમાર્ગો ઉજ્જડ થઈ ગયા. ન કોઈ સાર્થવાહ અહીંથી પસાર થતા કે ન કોઈ વણઝારાની પોઠોનાં પશુઓના પગરવ અહીં સંભળાતા.
આ નિર્જન વનવાટમાં નવું કોઈ વસવાટ કરવા ન આવતું. જે હતા એ શીધ્ર સ્થલપરિત્યાગની પેરવીમાં રહેતા. એવા પ્રદેશમાં પેલી બે સેવાભાવી સ્ત્રીઓએ તો જાણે અડ્ડા નાખ્યા. ધીરે ધીરે
374 | શત્રુ કે અજાતશત્રુ
તેઓએ ત્યાં એક આશ્રમ વસાવ્યો, અને નાની નાની ઝૂંપડીઓ બાંધી વસ્તી ખડી કરી.
આ આશ્રમમાં મોટા ભાગની સ્ત્રીઓ હતી. એ સ્ત્રીઓ કદી રાજ કથા કે દેશકથા ન કરતી, ફક્ત જીવદયા જ એમનો ધર્મ બની રહી હતી. તેઓ કોઈ અપંગ પશુ મળી આવે તો એને આશ્રમમાં લાવીને એની સેવા કરતી. કોઈ અપંગ માનવી મળે તો એને લાવીને એની સેવા કરતી, જીવદયા એ એમનું ધર્મસૂત્ર અને જીવસેવા એ એમનું મુખ્ય કર્તવ્ય હતું !
કોઈ કહેતું : “અરે ! આ પશુઓને મરવા દો. એની સેવા કેવી ? માનવની સેવા કરો.”
- સ્ત્રીઓ કહેતી : ‘અમારે મન જીવમાત્ર સમાન છે. અપંગ રોગીની સારવાર એ અમારો ધર્મ છે. માનવ અમારે મન મોટો છે, પણ માનવે તો ધરતીને નરકાગાર બનાવી મૂકી છે ! પશુઓ યુદ્ધે ચઢે તો પારકાની જાતને કે પોતાની જાતને જખમી કરે, માણસ યુદ્ધે ચઢે તો આખા જનપદનો સંહાર કરે. માણસના હૈયામાં તો ઝેર ભરાઈ બેઠાં છે ! આ ગાયને જુઓ, તમે એને રક્ષો કે ન રહ્યો, એના હૈયામાં હજી દુધધારા વહી રહી છે. આ નરકાગારને ફરી સ્વર્ગ બનાવશે તો આ પશુઓ જ બનાવશે !'
આ તત્ત્વવિચારની સામે એ વખતે કોઈ જવાબ ન વાળી શકતું, કારણ કે માનવે વેરેલો ભયંકર વિનાશ નજર સામે તરતો હતો. કેવો અકલ્પનીય સંહાર !
અને એ વિનાશ એક દિવસ આ આશ્રમપદ પર પણ સંહારની હવા લઈને આવ્યો : એક દહાડો ફાલ્ગની જવર આવ્યો. ઘણા વખત સુધી લીધેલા રાતદિવસના શ્રમથી એનું અંગેઅંગ કળતું હતું. થાકનો તાવ હશે, એમ સમજીને બે-એક દિવસ એ પર્ણની પથારીમાં પડી રહી.
આશ્રમની બીજી સ્ત્રીઓ સુશ્રુષા કરવા ગઈ, ત્યારે એણે કહ્યું, ‘આ આખો પ્રદેશ જોખમમાં છે. મરકી પોતાનું જોર ફેલાવતી જાય છે. તમે કોઈ મારી પાસે ન રહેશો. આપણું કામ અવિરત રીતે ચાલુ રાખો.'
અને ફાલ્ગની માથે ઓઢીને સૂઈ જતી. આશ્રમની બધી સેવિકાઓ, જેમાં મગધ-વૈશાલીની રાણીઓ પણ હતીઆ સાંભળીને જનસેવા માટે ચાલી જતી.
ચારેક દિવસે ફાલ્ગનીમાં રોગનાં ઉગ્ર ચિહ્નો દેખાવા લાગ્યાં. એ પ્રભુનું નામ સ્મરીને કહેવા લાગી કે હું કદાચ ન રહું તોપણ પ્રભુ મહાવીર મળે, ત્યારે કહેજો કે ફાલ્ગની મરતી વખતે પણ આપનું ધ્યાન ધરી રહી હતી, અને મહામુનિ વેલકૂલની માફી માગી રહી હતી. સખીઓ ! પાપમાં પાપ મારાથી એ થયું છે. રે ! હું ક્યાં જન્મે છૂટીશ ?
કાદવમાં કમળ D 375