SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ હતાં. એકાદ બે ગણિકાઓ જીવનનો મોહ છોડી ન શકી, તો કમોતે મરી હતી. વૈશાલીના સામાન્ય માણસની સંસ્કારિતા મગધના શ્રેષ્ઠ માણસની સંસ્કારિતાની તોલે ઊતરતી. ભોજનાલયોમાં ભોજન તૈયાર હતાં, પણ જમનારા નહોતા અને જ્યારે જમનારાઓએ એનો કબજો લીધો, ત્યારે એ ભોજન વિષમિશ્રિત માલૂમ પડ્યાં હતાં. મગધના જેટલા સૈનિકોએ એ ચાખ્યું, એટલા ત્યાં ને ત્યાં ઢળી પડ્યા, ને યમસદન પહોંચ્યા. આ માટે ગુનેગારની શોધ ચાલી, પણ ગુનેગાર મળે ક્યાંથી ? ભોજનાલયના તમામ સેવકવર્ગની કતલ કરવામાં આવી હતી. કેટલાક યોદ્ધાઓએ સંન્યાસ સ્વીકારી લીધો. રાજનિયમ એવો હતો કે સંન્યાસી કે સાધુને કોઈ રાજસત્તા સ્પર્શ ન કરી શકતી, પણ આ સાધુઓની લંગાર એટલી મોટી થઈ ગઈ, કે સાચા-જૂઠાનો વિવેક કરવો શક્ય ન રહ્યો. એટલે સૈનિકો ભયંકર મુખમુદ્રાવાળા સંન્યાસીઓને કેદ કરી લેવા લાગ્યા ને એમને વિવિધ રીતે સતાવવા લાગ્યા. પવિત્ર પુષ્કરણીઓ, જ્યાં ગણતંત્રના રાજાઓ સ્નાન કરીને રાજ કાજ કરવા સંથાગારમાં પધારતા, એમાં પણ સ્ત્રીઓનાં મડદાં તરતાં હતાં. મગધના વિશાલ સૈન્યને પાણી પૂરું પાડવા એ સાફ કરવામાં આવી, તો માલુમ પડ્યું કે એમાં પણ વિષ ભેળવવામાં આવ્યું છે. એ વિષ પણ કેવું ? મહાગરલ ! પીતાંની સાથે પ્રાણ હરી લે એવું ! મગધના થોડાક સૈનિકો સંયમ ન જાળવી શકવાથી મોતનો ભોગ બન્યા, પણ તરત જ રણભેરી દ્વારા જાહેરાત કરવામાં આવી કે મગધના યોદ્ધાઓએ વૈશાલીની પુષ્કરણીઓનું પાણી ન પીવું. ખાવામાં ભય ! પીવામાં જોખમ ! અને હવે તો રહેવામાં પણ જોખમ ઊભું થઈ ગયું હતું. વૈશાલીના ખંડેર પ્રાસાદોમાં મગધના સૈનિકો વિરામ કરતા હતા. તેમનો થાક પણ ગજબ હતો. આવું યુદ્ધ કોઈ સમયમાં લડાયું નહોતું ! થાકેલા સૈનિકોની જરા આંખ મળતી કે નીચેથી આગના ભડકા ઊઠતા. પ્રાસાદો ખુદ સ્મશાન બન્યા હતા. પ્રાસાદમાં અનિચ્છાએ મરેલાં માનવીઓનો છેલ્લો અગ્નિસંસ્કાર કરવા છુપાયેલાં સ્નેહીજનો આખા પ્રાસાદને આગ ચાંપી દેતા. મડદાં ભસ્મ ! પ્રાસાદ પણ ભસ્મ ! પોતે પણ ભસ્મ ! 368 1 શત્રુ કે અજાતશત્રુ શત્રુ પણ ભસ્મ ! શત્રુને અસહાય મરતો જોઈ, કેટલાક દુ:ખથેલા લોકો અટ્ટહાસ્ય કરી ઊઠતા. સૈનિકો અને શિક્ષા કરવા આગળ વધતા, તો ઉપરથી બળતાં પીઢિયાં પડતાં : ત્યાં ને ત્યાં જ સ્વાહા ! યુદ્ધમાં જેટલા હણાયા, એટલા જ અહીં વૈશાલીમાં હણાયા. વેરનો અને અકાળ મૃત્યુનો એક ભયંકર તંતુ બધે વીંટળાઈ વળ્યો. ફરી જાણે પૃથ્વી પર પશુરાજ સ્થપાઈ ગયું. કદાચ પશુઓ વચ્ચે પણ આટલું નિરર્થક વેર નહિ હોય. સૂર્યોદય થયો અને વૈશાલીનાં ખંડેરો પર કિરણો પ્રસરી રહ્યાં. પણ એ તેજ પ્રકાશથી દેશ્ય વિશેષ ભયંકર બની ગયું. આકાશમાં સમડી અને ગીધોનો સમુદાય ચાંચોમાં નરમાંસ ને નર-અસ્થિ લઈને ઘૂમી રહ્યો. ધીરે ધીરે એ સંખ્યા એટલી વધી ગઈ કે સૂરજ ઢંકાઈ ગયો ! નવ લિચ્છવી, નવ મલ્લ ને નવ કાશી-કોશલનાં રાજ્યોની સેના સર્વથા નષ્ટ થઈ ગઈ હતી. સામે પણ મગધના મહાયોદ્ધાઓની મોટી સંખ્યા રણમેદાન પર રહી ગઈ હતી. ફક્ત વિજયની પ્રાપ્તિએ જ એ ઘા સહ્ય બન્યો હતો. તો પણ કાલમહાકાલની પત્નીઓ ભયંકર આવેશમાં હતી, ને અજાતશત્રુને ધાર્યા કાર્યમાં નિષ્ફળ નીવડેલો જોઈ ઝનૂન પર આવી હતી. એ છૂટે કેશે વૈશાલીમાં આવી પહોંચી હતી, ને શેરીએ શેરીએ પોતાના પતિના ઘાતકને શોધી રહી હતી. એ કહેતી હતી કે ‘જૂઠા છે રાજ કારણી પુરુષો ! એ જીવતાને મરેલા બતાવે છે, મરેલાને જીવતો કરે છે ! તમે સહુ જવાબ આપો – અમારાં સૌભાગ્ય શા માટે લૂંટાયાં ?' ઉન્મત્તના જેવો પ્રલાપ અને ભયંકર આક્રંદ કરતું સ્ત્રીવૃંદ ગલીએ ગલીએ ફરવા લાગ્યું ! એ જાણે પૂછતું હતું : “ખેતી કરનારને ખેતી કરવી છે, રાજ જોઈતું નથી. નોકરી કરનારને પેટ ભરવા નોકરી જોઈએ છે, રાજ જોઈતું નથી. જીવનારને જીવવા વ્યવસ્થા ખપે છે, અને વ્યવસ્થા માટે રાજા ખપે છે; તો પછી આ યુદ્ધ શા માટે ? આ વૈધવ્ય શા માટે ? સંસારમાંથી રાજ મિટાવી દો, જે યુદ્ધ લાવે છે !' ‘સંસારમાંથી રાજા હટાવી દો, જે યુદ્ધ લાવે છે.' પણ આ તો કેવળ અરણ્યરુદન હતું. એ સાંભળનાર કોઈ ત્યાં નહોતું. પ્રજા નામનું પંખી પણ હવે ત્યાં પાંખ ફફડાવી શકે તેમ નહોતું. છતાં અજાતશત્રુ આ રુદન સાંભળીને આઘો સરી જતો હતો. એનાથી એ સહન થતું નહોતું. અલબત્ત, છ— લાખ માણસોની હત્યા એ કંઈ સામાન્ય વાત નહોતી, પણ છેવટે વિજય હાંસલ કરવાથી અને એ મૃત્યુ મંગલ રૂપ લાગ્યાં હતાં. અને છતાં એના મન ઉપર સ્વાર્થ માટે ન રડો ! 39.
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy