SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ એમના દુંદુભિનાદો પણ જાણીતા છે. ઔરંગઝેબ ને દુર્ગાદાસ પણ કંઈ અજાણી વ્યક્તિઓ નથી. પણ હું તો ઘટનાઓના હાર્દમાં ઊતર્યો છું ! ત્યાંથી મારાં પાત્રો માટે વિશ્લેષણ શોધી લાવ્યો છું. સરોવરની સપાટી કરતાં એના તળિયે મેં ગોથું માર્યું છે. મોતી લાવ્યો કે કાંકરા એ વાચકે નક્કી કરવાનું છે. મેં આમાં વર્ણન માટે કર્નલ ટોડના રાજસ્થાનનો, ને ઇતિહાસ માટે રા. રા. ઓઝાજી ને શ્રી સરદેસાઈના ગ્રંથોનો મુખ્યત્વે આધાર લીધો છે. એમ તો બીજા ગ્રંથોએ પણ સામાન્ય છતાં કીમતી માહિતીઓ મને આપી છે. સહુનો ઋણી છું. ૧૩-બી, ચંદ્રનગર સોસાયટી, સરખેજ રોડ, અમદાવાદ-૭ જયભિખ્ખુ બીજી આવૃત્તિ સમયે જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ નિમિત્તે માનવસૃષ્ટિના ભલાઈ અને બુરાઈના અંજામને સમજાવતી કૃતિ બૂરો દેવળ એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના પર આધારિત નવલકથા છે. સચોટ અને પ્રવાહી કથનશૈલીને કારણે ભાષાશૈલીના હૃદયસ્પર્શી માધુર્યનો અનુભવ કરાવતી આ કૃતિ ભાવકોને સાર્વત્રિક અને સર્વાશ્લેષી ચિરંજીવી મૂલ્યોની ઝાંખી કરાવશે. ' ટ્રસ્ટીમંડળ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ સવાઈ સાહિત્યકાર જયભિખ્ખુ કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. ‘જયભિખ્ખુ’ પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથૂથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે. ‘જયભિખ્ખુ’ જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ‘ભગવાન ઋષભદેવ માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’માં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિક્માદિત્ય હેમુ’માં ઇસ્લામ અને “પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખ્ખુ 'એ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે. ‘જયભિખ્ખુ'ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મ-ઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે. તેમણે લખેલી ‘વિક્માદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર’ વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે . જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે. તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી ‘જવાંમર્દ' શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે. તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં ‘માદરે વતન’, ‘કંચન અને કામિની’, ‘યાદવાસ્થળી’,
SR No.034415
Book TitleBuro Deval
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy