SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્જી વચ્ચે લાંબો પત્રવ્યવહાર થયો હતો. જો કે તેમાંથી આજે માત્ર ત્રણ પત્રો જ ઉપલબ્ધ થાય છે. મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ભુને જે પ્રશ્નો પૂછાવ્યા, તે આત્માથી શરૂ થાય છે. ગાંધીજીએ શ્રીમદ્જીને કરેલો પ્રશ્ન જોઈએ : ‘ઈશ્વર વિશે પછી મોક્ષ વિશે અને મુખ્યત્વે મોક્ષ ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય ?’ આ પ્રશ્નનો જવાબ શ્રીમદ્જીએ ધાર્મિક દૃષ્ટિએ સમાધાનકારક રીતે આપ્યો છે. શ્રીમદ્જીનો ઉત્તર ઃ “એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે, તેમ તેમ તે બધાના સંબંધની નિવૃત્તિ અનુભવવામાં આવે છે અને તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે. તેમજ અજ્ઞાનભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે, અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે, ત્યારે સહેજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે, એવો સ્પષ્ટ અનુભવ થાય છે તેમજ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે અને સર્વસંબંધથી કેવલ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે, અર્થાત્ મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. જ્યારે કોઈ વ્યક્તિ રાજસુખ, વૈભવ માણીને આવી હોય અને પછી તેને પૂછવામાં આવે કે એ રાજસુખ કેવું હતું ? વૈભવ કેવો હતો ? તેનો જવાબ આ બધું ભોગવનાર ન આપી શકે તેવું જ મોક્ષનું પણ છે. મોક્ષના સુખના અસંખ્યાતમા ભાગને પણ યોગ્ય ઉપમેય ન મળવાથી તે કહી શકાતા નથી. જ્યાં મોક્ષ આદર્શ છે, જ્યાં અહિંસા પરમ ધર્મ છે, જ્યાં આત્માનો અભેદ છે ત્યાં ઊંચ અને નીચના ભાવને સારુ અવકાશ જ ક્યાં છે ?' (૧૪૧) જૈનદર્શન અને ગાંધી વિચારધારા આ સંદર્ભમાં લિયો ટૉલ્સટોયની વાત વિચારીએ. ટૉલ્સટોયે કહેલું કે જે પોતાને આદર્શે પહોંચ્યો માને તે ખલાસ થયો સમજવો. ત્યારથી તેની અધોગતિ શરૂ થઈ. જેમ આદર્શની નજીક જઈએ, તેમ તેમ આદર્શ દૂર ભાગતો જાય. જેમ તેની શોધમાં આગળ જઈએ તેમ જણાય છે કે હજી એક ટૂંક ચડવી બાકી છે. કોઈ બધી ટૂંકો ન ચડી શકે ત્યારે નિરાશા આવે, હીણપતનો ભાવ અનુભવાય એટલે જ ઋષિઓએ મોક્ષ એ શૂન્યતા છે એમ કહ્યું . મોક્ષ મેળવનારે શૂન્યતા મેળવવાની છે. બીજી એક વાત જીવમાત્રનો એકરૂપે રહેતો મહાજીવ તે ઈશ્વર. એ એકરૂપને નહીં ઓળખનાર અને પોતાને અળગો માનનાર ચેતનમય જંતુ તે જીવ. સર્વમાં રહેલો છતાં તે મહાજીવ પ્રત્યક્ષ નથી. એ જ એની ખૂબી, એ જ એનું આશ્ચર્ય, એ જ એની માયા. એ માયાને તરીને એ એકરૂપે રહેલા મહાજીવને ઓળખવો એ પુરુષાર્થ. એ કદી પણ આપણે સમજી શકીએ એવી રીતે પ્રત્યક્ષ થનારી વસ્તુ જ નથી. ત્યાં તેને પ્રત્યક્ષ કરવાનું સાધન ક્યાંથી જ હોય ? પણ જેનામાં હું મટીને કેવળ શૂન્ય થવાની શક્તિ છે તે તેની ઝાંખી કરી શકે છે. તે કોઈને બતાવી શકતો નથી. ઝાંખી કરતાં જ તે તેમાં એવો અંજાઈ જાય છે અને એવો મુગ્ધ બની જાય છે કે તે તેમાં જ શમી જાય છે. કોઈને પોતાનો પરમ આનંદ જણાવવાનું તેને નથી ભાન કે નથી કાંઈ કામ. મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્ રાજચંદ્રજીના ગાઢ સંબંધને જોઈએ, ત્યારે એ વિચારવું જોઈએ કે શ્રીમદ્ રાજચંદ્રનો દેહવિલય ૧૯૦૧ માં થયો, જ્યારે આ મેળાપ પછી મહાત્મા ગાંધીજીનું વ્યક્તિત્વ આંતરિક મંથનની સાથોસાથ દેશના જાહેરજીવનના અનુભવોમાંથી પસાર થાય છે અને તેથી એમની મોક્ષ વિશેની વિભાવના શ્રીમદ્ રાજચંદ્રથી ભિન્ન લાગે છે. એવું પણ કહી શકાય કે મહાત્મા ગાંધીજીએ મોક્ષને વાસ્તવિક ધરાતલ પર જોયો, જ્યારે (૧૪૨)
SR No.034403
Book TitleJain Darshan Ane Gandhi Vichardhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy