________________
સંયમ-સાધનાના પથ પર
સંવાદની ભૂમિકા વિશે તેઓ પ્રમાણમાં ઓછી માહિતી ધરાવે છે. પંજાબની ભૂમિ પર એમણે કરેલાં અનેકવિધ કાર્યોની અને દિલ્હીમાં સર્જેલા વલ્લભ-સ્મારક નામના સંસ્કૃતિમંદિરની આ ચરિત્રમાંથી તાદેશ માહિતી સાંપડશે.
સમાજમાં સૌમ્ય, શાંત અને પ્રભાવક વ્યક્તિત્વથી શાંત ક્રાંતિના સર્જક એવાં મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીનું આ જીવનચરિત્ર જૈન સમાજને એના ભવિષ્યના ઘડતરને કાજે એક નવી દૃષ્ટિ આપશે. સ્કૂલો અને હૉસ્પિટલોના નિર્માણ દ્વારા સમાજના અભાવગ્રસ્ત લોકોને માટે મદદરૂપ થવાની પ્રેરણા આપશે. પૂ. મહત્તરાજીની ધર્મ પ્રત્યેની દઢ આસ્થા, ગુરુ પ્રત્યેની અડગ ભક્તિ અને સમાજ પ્રત્યેની આગવી દૃષ્ટિ સહુ કોઈને માટે પાવન પ્રેરણારૂપ બની. રહેશે. અતિ પ્રાચીન એવા કાંગડા તીર્થનો ઉદ્ધાર હોય કે વલ્લભસ્મારક જેવા વર્તમાન સંસ્કૃતિમંદિરનું સર્જન હોય, એ તમામમાં મહત્તરા સાધ્વીશ્રીનો અપ્રતિમ ધર્મપુરુષાર્થ આવનારા યુગને એક નવું બળ પૂરું પાડશે.
આ આશા સાથે પ. પૂ. વિદુષી સાધ્વી સુવ્રતાશ્રીજી અને સાધ્વીશ્રી સુપ્રજ્ઞાશ્રીજી મ ની અવિરત જહેમત, ઉદાહરણીય ચીવટ, દૃષ્ટાંતરૂપ ગુરુભક્તિ અને નિર્ધારિત લક્ષને સિદ્ધ કરવા માટેની પ્રબળ ભાવનાને વંદન કરીએ છીએ . ૨-૭-૨૦૧૩
- કુમારપાળ દેસાઈ
- માલતી શાહ
સમયની રેતી પર પડેલાં પગલાંને ભલે જમાનાની જોશીલી હવા ભૂંસી નાખતી હોય, પરંતુ કેટલાંક પદચિહ્નો એવાં હોય છે કે જેની ચરણપાદુકા માનવીના હૃદય-સિંહાસન પર સદાય બિરાજમાન હોય છે. કાળની ગતિ એમની જીવનસુવાસને મિટાવી શકતી નથી અને સમયનો પ્રવાહ એમણે સર્જેલા માર્ગને પલટાવી શકતો નથી.
મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજી મહારાજનું જીવન એ આધ્યાત્મિક પ્રગતિની પરાકાષ્ઠા સમું જીવન છે. એમણે છા દાયકાના જીવનમાં ધ્યેયના ધ્રુવતારકને વળગી રહીને અનેક પ્રકારનાં કષ્ટો સમભાવે સહીને સાધનાના માર્ગે વિહાર કરીને સિદ્ધિના સીમાસ્તંભો રચ્યા છે.
એ સમયના સૌરાષ્ટ્રના રાજકોટ સ્ટેટની રાજધાની સરધાર હતી અને તે પૂર્ણ વિકસિત અને આયોજનબદ્ધ ગામ હતું. ગામની આસપાસ ઐતિહાસિક દરબારગઢ હતો અને આ વિશાળ કિલ્લાનાં ત્રણ પ્રવેશદ્વાર સમા ઊંચા દરવાજા હતા.
એમાં ઉત્તર તરફના દરવાજામાં આવેલી બારી(નાનો દરવાજો)માંથી બહાર પગથિયાં ઊતરતાં ગુજરાતની ઉદારમના રાણી મીનળદેવી અને પરાક્રમી જયસિંહ સિદ્ધરાજ દ્વારા બનાવાયેલ બાર ફૂટની ઊંડાઈ ધરાવતું