________________
લાલા અમરનાથ
લાલા અમરનાથ
સદી પૂરી થઈ કે વિરોધી ટીમના સુકાની ડગ્લાસ જાર્ડિને લાલા અમરનાથને સૌપ્રથમ અભિનંદન આપ્યાં. સાહસિક અને આકર્ષક બૅટિંગથી અભિભૂત બનેલો જનસમૂહ ફૂલહાર સાથે વધાવવા મેદાન પર ઊભરાઈ ઊઠ્યો. લાલા અમરનાથ પર રોકડ રકમ અને ટ્રોફીઓનો વરસાદ વરસ્યો ! મુંબઈના એક સોનીએ સુવર્ણપાત્ર ભેટ આપ્યું.
લાલા અમરનાથે બસો ને દસ મિનિટમાં ૧૧૮ રન કર્યા. આમાં ૨૧ ચોગ્ગાઓનો સમાવેશ થાય છે. ભારત મૅચ બચાવી ન શક્યું, પણ એક નૂતન ઇતિહાસ સર્જી શક્યું ! લાલા અમરનાથે પોતાના જીવનકાર્યને પ્રારંભે જ એક ભવ્ય વિક્રમ રચી દીધો !
ઑસ્ટ્રેલિયાની મજબૂત ટીમ સામે તાજા જ ખેલીને આવેલા દુરારાધ્ય ગણાતા સુકાની ડગ્લાસ જોર્ડિને આવી છટાદાર રમત નિહાળીને કહ્યું, “આ યુવાન અમરનાથ એ ભારતનો ભવિષ્યનો ડોનાલ્ડ બ્રેડમેન છે.”
લાલા અમરનાથનો જન્મ લાહોરમાં ૧૯૧૧ની ૧૧મી સપ્ટેમ્બરે થયો. પ્રારંભના ક્રિકેટપાઠ એ અલીગઢમાં શીખ્યા. એ પછી લાહોરમાં એમની ઉપાસના ચાલુ રહી, એ સમયે અમરનાથ નોંધપાત્ર શક્તિ ધરાવનારા વિકેટકીપર અને આશાસ્પદ બેટધર હતા. સિયાલકોટમાં રમાયેલી એક
મૅચમાં દસમા ક્રમે ખેલવા આવીને એમણે પ૯ રન કર્યા હતા.
ભારતીય ક્રિકેટના તખ્તા પર અમરનાથ જુદી જુદી આકર્ષક ભૂમિકાઓ ભજવતા રહ્યા છે. બે દાયકા સુધીની એમની ક્રિકેટ- કારકિર્દી વૈવિધ્યભરી અને અણસરખી તો રહી જ, પરંતુ અવારનવાર વિવાદોથી વીંટળાયેલી રહી છે. માત્ર ભારતીય ક્રિકેટમાં જ નહીં, પણ જગતના ક્રિકેટ ઇતિહાસમાં આવો ઝંઝાવાતી વિવાદ જગાડનારો ક્રિકેટર પાક્યો નથી.
વિકેટકીપર તરીકે લાલા અમરનાથે રમવાનો પ્રારંભ કર્યો. સાહસિક બેટધર તરીકે ચોંકાવનારો પ્રવેશ કર્યો. એ પછી એ ગોલંદાજ તરીકે વધુ ને વધુ ખીલતા રહ્યા અને એમની કારકિર્દીનું સમાપન જગતના ચુનંદા ઑલરાઉન્ડર તરીકે થયું !
એક જ ટેસ્ટમાં ત્રણ પ્રકારની કામયાબી દેખાડનાર ખેલાડી તો વિરલ જ હોય. ૧૯૪૮-'૪૯માં મુંબઈમાં વેસ્ટ-ઇંડીઝ સામે પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ખેલતા વિકેટકીપર પી. સેન ઘાયલ થયા અને સુકાની અમરનાથે ગ્લોઝ પહેર્યા. પોતે ક્રિકેટ-કારકિર્દીની શરૂઆત વિકેટકીપર તરીકે કરી હતી એની મધુર યાદ આપતા હોય તેમ અમરનાથે