________________
લાલા અમરનાથ
લાલા અમરનાથ
ટીમના મૅનેજર તરીકે અમરનાથ પસંદગી પામ્યા હતા.
પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી જીતીને ભારતીય ક્રિકેટના આ આકર્ષક અને એટલા જ વિવાદાસ્પદ ઑલરાઉન્ડર ટેસ્ટમાંથી વિદાય લીધી. ૧૯૩૩–'૩૪થી ૧૯૫૨-૫૩ સુધીની એની ટેસ્ટ-કારકિર્દીમાં અમરનાથ ૨૪ ટેસ્ટ રમ્યા. આમાં નવ ટેસ્ટ ઇંગ્લેન્ડ સામે, પાંચ વેસ્ટઇન્ડીઝ સામે અને પાંચ ટેસ્ટ પાકિસ્તાન સામે. પંદર ટેસ્ટમાં તો અમરનાથ ભારતીય ટીમના સુકાની તરીકે રમ્યા. ટેસ્ટમાં અમરનાથે ૨૪ રનની સરેરાશથી ૮૭૮ રન કર્યા; જ્યારે ૩૨ રનની સરેરાશથી ૪૫ વિકેટો લીધી. બૅટિંગમાં એમની પોતાની પ્રથમ ટેસ્ટસદી એ જિંદગીની શ્રેષ્ઠ ટેસ્ટરમત બની રહી,
જ્યારે ટેસ્ટમાં બે દાવમાં પાંચ વિકેટો પણ ઝડપી હતી. ૧૯૪૬માં ઇંગ્લેન્ડમાં ખેલાયેલી પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દાવમાં ૧૧૬ રનમાં પાંચ વિકેટો અને બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ૯૬ રનમાં પાંચ વિકેટો મેળવી.
અમરનાથની બૅટિંગમાં એમના સાહસિક વ્યક્તિત્વનું પ્રતિબિંબ જોવા મળે છે. ૧૯૩૬માં વિજયનગરના મહારાજાની આગેવાની હેઠળ ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી હતી. વચ્ચે ફ્રાંસના ધમાલિયા બંદર મર્સેલિસમાં આપણી ટીમ થોડો સમય રોકાઈ. શહેરની
સહેલગાહે જવાની ઇચ્છાથી સી. કે. નાયડુ, લાલા અમરનાથ, શેતુ બેનરજી અને મુસ્તાકઅલીએ એક ટૅક્સી ભાડે કરી. પ્રવાસ પૂરો થતાં ડ્રાઇવરને એકસો ફ્રાંકની નોટ આપી અને ભાડાના પૈસા કાપીને બાકીની રકમ પાછી મેળવવાની આશાએ ઊભા રહ્યા. આશ્ચર્યની સાથે ડ્રાઇવરે ટેક્સી ચાલુ કરી. અમરનાથ એનો ઇરાદો પારખી ગયો. એણે ફ્રેંચ ડ્રાઇવરને પકડ્યો. લોકો ભેગા થયા. પોલીસ આવી, પણ એમાંનું કોઈ અંગ્રેજી સમજતું ન હતું. આ ધમાલ જોતાં અને પોતાની લુચ્ચાઈ પકડાઈ જતાં આખરે ટેક્સીવાળાએ બાકીની રકમ તરત આપી દીધી.
અમરનાથની બૅટિંગનો આનંદ આંકડાઓથી માપી શકાય તેમ નથી. એની સહજ બૅટિંગ મનોરંજક હતી. પોતાની કારકિર્દીની ટોચે રહેલા અમરનાથ જોશભેર કવર-ડ્રાઇવથી દડાને સખત ધક્કો લગાવી શકતા હતા. ૧૯૪૭માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં તો અમરનાથ ધીમા ગોલંદાજ સામે ખતરનાક બેટધર સાબિત થયા. વિશ્વયુદ્ધ પછીની ઑસ્ટ્રેલિયન સ્પિનરોની જમાતમાંથી એકમાત્ર રિંગ જ અમરનાથના બૅટિંગ-ઝંઝાવાતમાંથી બચી શક્યો. અમરનાથે એવું તો તોફાન જગાવ્યું કે ઑસ્ટ્રેલિયન સ્પિનરોની સ્થિતિ કફોડી થઈ ગઈ. ટીમમાં સ્પિનરોનું મહત્ત્વ ઘટાડી નાખ્યું.