________________
૧૬૦ ]
[ મહામણિ ચિંતામણિ
સાધક હતા. આનંદ શ્રાવક સાથેના અવધિજ્ઞાનના પ્રસંગમાં લાવેલી ગોચરીનો ઉપયોગ કર્યા વિના તત્ક્ષણ ગૌતમે જઇ એક ગૃહસ્થ શ્રાવકની ક્ષમા માગી. પુરુષાદાનીય ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં આવેલ શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ કેશીકુમાર શ્રમણ સાથેના પ્રસંગમાં પણ ૧૨ પ્રશ્નોત્તર દ્વારા ઉભય માર્ગની વિશિષ્ટતાઓ ને વિભિન્નતાઓનો ભેદ ઉકેલ્યો અને ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના માર્ગના પાંચ મહાવ્રતો શા માટે?—ને પાર્શ્વનાથ પરમાત્માના શાસનમાં ચાર જ મહાવ્રતો શા માટે ? ઇત્યાદિ સંશયોનાં સંવાહી સમાધાન કરી કેશીકુમાર શ્રમણને મહાવીર પરંપરા સાથે જોડી આપ્યા. અતિમુક્તક કુમારના પ્રસંગમાં પણ ગૌતમસ્વામીજીએ બાળક સાથે બાળક જેવા સ૨લ–ઉદાર-હૃદયી બની મધુરતા, વત્સલતા અને સરલતાનો પિરચય કરાવ્યો.
તીર્થંકરોની પ્રબુદ્ધ ચેતનાના સંવાહકો—ગણધરો :
લાખો વર્ષે પૃથ્વીના પાટલે એકાદ તીર્થંકરનો જીવ ત્રિભુવનના પ્રકૃષ્ટ પુણ્યોદયે જ્ઞાનદર્શનચારિત્ર્યરૂપ સંયમસાધનાના પ્રશસ્ત માર્ગના દીવડાને ઝળહળતો કરવા અવતરે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય તો જીવમાં અંતર્નિહિત છે, પણ અસંખ્ય કાળની કાર્મણ વર્ગણાઓને અનંતકાળના કુસંસ્કારો સંસ્કારો રૂપે સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવના આ પારમેશ્વરી વૈભવને આવૃત્ત કરી દે છે. જન્મ-પ્રતિજન્મમાં સાધનાઓના શિખરે ચડતાં ચડતાં ચરમ જન્મમાં પૂર્વકર્મોને ખપાવી, નૂતન કર્મોનું ભાથું બાંધવાથી દૂર રહીને તીવ્ર તપશ્ચર્યા સાધીને કેવળજ્ઞાનના સૂર્યપુંજથી ઝળહળી પૃથ્વી પર જ નહીં પણ ઉપરના અનેક દેવલોકો સુધી તીર્થ પ્રવર્તાવતા તીર્થંકર ભગવંતો પ્રગટે ત્યારે સ્વર્ગ પણ આ પાવન પૃથ્વીની ઇર્ષા કરે છે. દેવોનાં વિમાનો પૃથ્વી પર દોડાદોડ કરે છે. ઇન્દ્રદેવનું સિંહાસન ચલાયમાન થતાં દેવો સાથે તેઓ દોડતા આવી જન્મકલ્યાણક ઉત્સવ રચે છે. પછી દીક્ષાકલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક એમ ઉત્સવોની પરંપરા ચાલે છે. તીર્થંકર ભગવાન કેવળજ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે અદ્ભુત પ્રભામય સમવસરણની રચના થાય છે. માઈલો સુધી ભગવાનની ધર્મદેશના દેવોથી લઇ તિર્યંચ સૃષ્ટિ શ્રવણ કરી પાવન થાય છે. જેમ પ્રત્યેક મનુષ્ય તીર્થંકરપદ સુધી આરૂઢ શઇ શકતો નથી, બહુ વિરલ વ્યક્તિઓ જ વીશ સ્થાનક પદોની વિશિષ્ટતમ અને ઉત્કૃષ્ટ સાધના કરીને તીર્થંકર નામકર્મ બાંધીને આ પદ પ્રાપ્ત કરે છે તેમ કોઇ સાધારણ વ્યક્તિ ગણધ૨પદ સુધી પહોંચી શકે નહીં. અનેક જન્મ સમુપાર્જિત ઉત્કટ આરાધના—તીવ્રતમ તપશ્ચર્યા પછી વિશિષ્ટ અતિશયો અને લબ્ધિઓથી સહજપણે શોભિત આ ગણધરપદ પર પહોંચી શકાય છે. સંશયાતીત સર્વશ્રુત મહોદધિ સિદ્ધ બુદ્ધ અક્ષીણ મહાનસ લબ્ધિયુક્ત ગૌતમપ્રભુ મહાપંડિત ઇન્દ્રભૂતિમાંથી દીક્ષા લેતાંની સાથે જ જગઢંઘ ભગવાન મહાવીરના કરકમલોથી મસ્તક પર પડતા સૌગંધિક વાસચૂર્ણના પ્રભાવથી ગણધર બન્યા. અગિયાર પંડિતોના મસ્તક પર આ સૌગંધિક રત્નચૂર્ણ પ્રક્ષેપ કરતાં ભગવાન બોલ્યા, “હું તમને સૌને દ્રવ્યગુણ પર્યાયથી તીર્થની અનુજ્ઞા પ્રદાન કરું છું.”
આમ ભગવાન મહાવીરે પોતાના તીર્થ—સંઘની સ્થાપના કરી અગિયાર ગણધરોને ગણધરપદ આપ્યું, જેમાં શ્રી ગૌતમપ્રભુ પ્રથમ ગણધર બન્યા. અગિયાર આચાર્યોનો શિષ્ય-સમુદાય જેની કુલ સંખ્યા ૪૪૦૦ હતી તેનો આ પરિવાર ગૌતમપ્રભુની છત્રછાયામાં જિનશાસનની જયપતાકા લહેરાવવા લાગ્યો. શ્રી ગૌતમપ્રભુને ગણધરપદ પ્રદાન ઇસ્વીસન પૂર્વે ૫૫૭માં વૈશાખ સુદિ ૧૧ના દિવસે થયું.