________________
૧
વર્તમાન જીવનમાં જૈન મૂલ્યોની
આવશ્યકતા
લે. કુ. ડો. ઉત્પલા મોદી
અનંત ઉપકારી, અનંત કલ્યાણના કરનારા, તારક જિનેશ્વર દેવાધિદેવ પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા બાદ જ્યાં સુધી કૈવલ્યજ્ઞાનનો પ્રકાશ સંપ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી પ્રાયઃ કરીને મૌન રહે છે. કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયા બાદ પરમાત્મા રોજ સવાર-સાંજ એકેક પ્રહરની દેશના ફરમાવે છે. વર્તમાનમાં જેમનું શાસન પ્રવર્તમાન છે, તે ત્રિભુવન પ્રકાશ પરમાત્મા મહાવીર દેવે કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ બાદ સાડા ઓગણત્રીસ વર્ષ દરમિયાન ફરમાવેલ દેશનામાં જગતના બધા વિષયો(Subject)ને સ્પર્શ કર્યો છે. આત્મા, કર્મ, પુદ્ગલ, પરમાણુ, ભૂગોળ, ખગોળથી માંડીને જ્યોતિષશાસ્ત્ર, જીવવિજ્ઞાન, નીતિ-નિયમો, પર્યાવરણ, સામાજિક સમસ્યા, આરોગ્ય, આર્થિક, વ્યક્તિત્વ વિકાસ, આહારશુદ્ધિ, આધ્યાત્મિક જેવા તમામ વિષયો પરમાત્માએ ઉપદેશ્યા છે.
તીર્થંકરોનું જીવનદર્શન માનવીય મૂલ્યો અને માનવીય ગૌરવની પ્રતિષ્ઠા કરે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અનેકાન્ત દૃષ્ટિ, તપ, જપ, સામાયિક, પ્રતિક્રમણ વગેરે આપણને જૈન મૂલ્યોની ઝાંખી કરાવે છે.
મહાવીરની જીવનદૃષ્ટિનું મહત્ત્વનું પાસું એ છે કે - બીજાઓનું અસ્તિત્વ અને બીજાઓના વિચારોને સન્માન આપો.' અહીં અહિંસાનો સિદ્ધાંત પ્રગટે છે અને શોષણની સામે વિરોધ પ્રગટે છે. શોષણના મૂળમાં સ્વાર્થની ભાવના રહેલી છે. સ્વાર્થમાંથી સંગ્રહની પ્રવૃત્તિ પોષાય છે. મહાવીરની દૃષ્ટિએ - આ પ્રકારનો સંગ્રહ કરવો એ સામાજિક હિંસા છે.'
અન્ય લોકોના વિચારને સન્માન આપવું, તે મહાવીરના અનેકાન્તદર્શનનો પાયો છે. મહાવીર એમ માનીને ચાલતા હતા કે ‘સત્યના સૂર્યનો ઉદય કોઈના પણ આંગણમાંથી થઈ શકે છે.' આથી જ તેઓ કહેતા હતા કે ‘સત્યનો ગમે ત્યાંથી સ્વીકાર કરો. એવું ન માનો કે હું જે કાંઈ જાણું છું કે માનું છું, તે જ સત્ય છે. એ રીતે જોશો તો તમારો વિરોધી પણ પોતાની દૃષ્ટિએ પોતાને સાચો જ માનતો થશે.' મહાવીરનો આ અનેકાન્ત, વાસ્તવમાં તો વૈચારિક, સહિષ્ણુતાનું પ્રતીક છે.
જ્ઞાનધારા -૫ SSSS ૧ 555 જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫
-