________________
૭૦ ]
[ અણગારનાં અજવાળા કે ૧૬ વર્ષના દીકરાને દીક્ષાની આજ્ઞા આપવા કઈ માતા તૈયાર થાય? પિતાજી આ બાબત મૌન રહેતા. તેથી પુત્રને સમજાવવાનો બધો બોજો માત્ર માતા ઉપર જ આવી પડ્યો હતો. રાયશીભાઈના વધતા અને દૃઢ થયેલા વૈરાગ્ય સામે માતાને આખરે ઝૂકવું પડ્યું. સંયમ લેવાની લીલી ઝંડી મળી ગઈ. તે અનુસાર ૧૭ વર્ષના રાયશીભાઈની પ્રવ્રજ્યા વિ.સં. ૧૯૫૩ના જેઠ સુદ ૩ને ગુરુવારે તેમના જ વતનમાં અનેક સાધુસાધ્વીઓ આદિ ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં, ઉલ્લાસભાવથી સંપન્ન થઈ. આમ શ્રી ગુલાબચંદ્રજી મહારાજને ગુરુપદે સ્થાપી રાયશીભાઈ શ્રી રત્નચંદ્રજી મહારાજ બન્યા અને સાત દિવસ બાદ મુંદ્રામાં તેમની વડી દીક્ષા થઈ.
સરસ્વતીની અખંડ અને ઉગ્ર સાધના : નાનપણના વૈરાગ્યના સંસ્કાર દીક્ષા લેતાં પલ્લવિત થયા અને અખંડ જ્ઞાનઉપાસનામાં રચ્યાપચ્યા રહેવાની ઉત્કટ વૃત્તિ જાગી. વડી દીક્ષા પછી માંડવી તરફ સંઘનો વિહાર થયો. વચ્ચે આવતા દેશલપુર ગામમાં અષાઢ સુદ ૧ને દિવસે સંસ્કૃત ભાષાના વ્યાકરણના અભ્યાસનો પ્રારંભ કર્યો અને જામનગરથી આવેલા શાસ્ત્રીજીની સાથે રહી ‘સિદ્ધાંતચંદ્રિકા’નો પહેલો ભાગ પૂરો કર્યો. સંવત ૧૯૫૫ના અંજારના ચાતુર્માસમાં ‘સિદ્ધાંતચંદ્રિકા’નો બીજો ભાગ, ‘રઘુવંશ’, ‘શ્રુતબોધ’ અને ‘વૃત્તરત્નાકર' વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો. તેઓશ્રીની સ્મરણશક્તિ અને બુદ્ધિની તેજસ્વિતા અદ્ભુત હોવાથી આગળના ૧૯૫૬ અને ૧૯૫૭ના જામનગર અને જૂનાગઢના ચાતુર્માસમાં તેઓએ વિવિધ શાસ્ત્રીઓ પાસે સિદ્ધાંતકૌમુદી’, ‘શિશુપાલવધ’, ‘કુવલયાનંદ કારિકા’ આદિ ગ્રંથો પૂરા કરીને પછીના છ માસમાં ‘તર્કસંગ્રહ', ‘ન્યાયબોધિની’, ‘ન્યાયદીપિકા’, ‘ન્યાયસિદ્ધાંત-મુક્તાવલિ’, ‘સાધનિકા' અને દિનકરી' એમ અતિ કઠિન ગણાતા ન્યાયશાસ્ત્રના છ ગ્રંથો અને અનુયોગદ્વાર’, ‘ચંદ્રપ્રજ્ઞપ્તિ’, ‘સૂર્યપ્રજ્ઞપ્તિ’, ‘દશવૈકાલિક' અને વિવિધ થોકડાઓનો સારો અભ્યાસ કરી લીધો. ૧૯૩૦ના અંજાર ચાતુર્માસમાં અંગ્રેજી, ગણિત અને જ્યોતિષવિદ્યાનો જરૂર પૂરતો અભ્યાસ પૂરો કરી લીધો. ૧૯૬૧ના ખેડોઈના ચાતુર્માસ પહેલાં મિથિલાના સુપ્રસિદ્ધ શાસ્ત્રી શશિનાથ ઝા પાસે તેમણે ‘પંચલક્ષણી', ‘સિદ્ધાંતલક્ષણી’, ‘રસગંગાધર’, ‘સાંખ્યતત્ત્વકૌમુદી’ ઇત્યાદિ ન્યાય, સાહિત્ય અને દર્શનશાસ્ત્રના વિવિધ ગ્રંથોનું અધ્યયન પૂરું કર્યું. ખેડોઈના ૧૯૬૧ના