________________
૧૦૨ ]
[ અણગારનાં અજવાળા
જાહેર કરવામાં આવ્યા, પરંતુ લોકોની જીભે તો “આત્મારામજી” નામ જ
ચડેલું રહ્યું.
પાંચ વર્ષ પછી ગુજરાતમાં વિચર્યા પછી આત્મારામજીએ રાજસ્થાનમાં જોધપુરમાં ચોમાસું કર્યું. ત્યાંથી ફરી પાછા તેઓ પંજાબ પધાર્યા.
વિ.સં. ૧૯૪૭થી ૧૯૫૩ સુધીના સાત વર્ષમાં પંજાબમાં તેઓ વિચર્યા અને લોકોના ધાર્મિક તેમજ સામાજિક જીવનમાં તેમણે ઘણી બધી જાગૃતિ આણી. આત્મારામજી ઉદાર દષ્ટિના હતા. સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરનાર હતા, એટલે એમણે પંજાબમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સમુદાય વચ્ચેના વિખવાદને દૂર કર્યો, એટલું જ નહીં જૈન, હિન્દુ, મુસલમાન અને શીખ એ ચારે ધર્મનાં લોકો વચ્ચે પણ પ્રેમ અને બંધુત્વ, સંપ અને સહકારની ભાવના ઠેર ઠેર વિકસાવી. પરિણામે એમના ભક્તજનોમાં માત્ર જૈનો ન હતા; હિન્દુ, મુસલમાન અને શીખ કોમના કેટલાય માણસો પણ એમના ચુસ્ત અનુયાયી બન્યા હતા.
એમના ઉપદેશથી કેટલાય લોકોએ માંસાહાર, દારૂ અને શિકારનો ત્યાગ કરી દીધો હતો અને ભવિષ્યમાં તેમ ન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.
આત્મારામજી મહારાજ સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. સાઠ વર્ષના જીવનકાળમાં તેઓ આટલું બધું કાર્ય કરી શક્યા તેનું કારણ એ છે કે એમણે એક પળ પણ નકામી જવા દીધી નહીં. સ્વ. સુરચંદ્ર બદામીએ સુરતના ચાતુર્માસના સમયનો એક પ્રસંગ વર્ણવતાં લખ્યું છે કે સંવત્સરી પ્રતિક્રમણ નિર્ધારિત સમયે ચાલુ કરવામાં વિલંબ થતાં મહારાજશ્રીએ સંઘના આગેવાનોને કહી દીધું કે, “હવે જો મોડું થશે તો અમે અમારું પ્રતિક્રમણ કરી લઈશું. તમે તમારું પ્રતિક્રમણ તમારી મેળે કરી લેજો.” મહારાજશ્રીની આ ચેતવણી પછી પ્રતિક્રમણ રોજ નિશ્ચિત સમયે જ ચાલુ થઈ જતું.
એવો જ બીજો એક પ્રસંગ અમદાવાદનો છે. અમદાવાદમાં ત્યારે શેઠ પ્રેમાભાઈ સંઘના આગેવાન અને નગરશેઠ હતા. તેઓ આત્મારામજી મહારાજના વ્યાખ્યાનમાં નિયમિત આવતા. આત્મારામજી મહારાજ હવે અમદાવાદ છોડીને વિહાર કરવાના હતા. તેમણે સવારનો વિહારનો સમય