________________
પ૮
પૂ. શ્રી જૂઠાભાઈ
તેના હૃદયના સિંહાસન પર કોઈને બેસવાનો અધિકાર તેણે આપ્યો ન હતો. કાયમ ત્યાં એક રાજનો જ લક્ષ, શ્રી રાજનું સ્થાન-ધ્યાન મનમંદિરમાં રહેતું. એને વિશ્વાસ હતો કે એ મને (અંતઘડીયે) સાચવી લેશે. કદાચ પગલાં મારાં લડથડતા હશે તો એ “પૂરણકામ” – હાથ ઝાલીને - મને દોરશે. મારાં મનભાવ્યા એ જ છે. મનને બીજું હવે રૂચતું નથી. જગતનો જૂઠો મોહ પ્રભુએ વિસરાવી દીધો હતો એટલે ભવોભવનો નાતો પાકો રાખવાના કોલકરાર કરી લીધા હતા કે તું સાહેબ - હું સેવક આ સંબંધમાં તમે ખામી ના લાવશો.
“અમને અંત સમય ઉપકારી વ્હેલા આવજો રે, વસમી અંત સમયની વેળા, હારે ધાજો વ્હાલા વેલા.
પ્રણત પાળનું પણ પહેલા પરખાવજો રે.”
એવી એના અંતરની આરજુ ૫.કૃ.દેવને તારથી પહોંચાડી બે દિવસ ઉપરાઉપરી મુંબઈ ૫.કૃ.દેવને પધારવા-દર્શન દેવા તાર કરી તેડાવ્યા અને ભક્તાધિન ભગવાન એની પાસે આવી પહોંચ્યા. પૂ.શ્રી જૂઠાભાઈએ ચરણસ્પર્શ કર્યો. રોગ-શોક નષ્ટ થઈ નિર્ભયતા-આશ્રયમાં શાંતિ-વિરામ અનુભવ્યો.
- આખી રાત પ.કૃ.દેવ સાથે પ્રેમગોષ્ટિ કર્યા પછી સત્યપરાયણે નેમ લીધી કે –
“ના, હવે સઈ, નહીં બોલું, કોઈ સાથે નહીં બોલું, મેં તો ગાંઠ વાળી તે કોઈ પાસે નહીં ખોલું.” - શ્રી મકરંદ દવે
એને આખી રાત નિરખીને શ્રી રાજને નયણામાં ગોપવી દીધા. એ જ છે મારા હૃદયકમળના વનનો એક ઉજાસ-ઉજાસ, જીવનરથની લગામ એના હાથમાં સોંપી દીધી, સંસારના સગપણ તોડી પ્રિય પ્રભુ સાથે પ્રેમ બાંધ્યો – સવારે શ્રી પ.કૃ.દેવ મુંબઈ સિધાવ્યા.
સંસાર-મમતાની ગાંઠ કોઈ આડી આવે નહીં એવી રીતે એના ચરણમાં સઘળું ઓળઘોળ કરી દીધું. જાણવા યોગ્ય શ્રી રાજને જાણ્યા હવે બીજું જોવુંજાણવું ન હતું તેથી એણે આંખડી બંધ કરી દીધી.