________________
આત્મનિષ્ઠ ધ્રુવ તારો
પ્રસ્તાવના
“મહાદિવ્યા કુક્ષિરત્નમ્ શજિતવરાત્મજમ્ શ્રી રાજચંદ્ર મહં વંદે તત્વલોચનદાયકમ્ ॥'
પૂ.શ્રી અંબાલાલભાઈ
પૂ. શ્રી અંબાલાલભાઈ રચિત
જે ‘જ્ઞાનાવતાર’ પુરુષનું દર્શન ચતુર્થકાળમાં પણ દુર્લભ હતું, તેવા પરમ પુરુષનું પંચમકાળમાં જન્મવું તે એક આશ્ચર્યકારક ઘટના છે ! વિકરાળ દુઃષમકાળમાં તીર્થંકર પરમાત્માના સન્માર્ગનો પુનરોધ્ધાર કરવા અને આપણા જેવા જિજ્ઞાસુ જીવોના શ્રેયાર્થે જ યુગ-યુગના યોગી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું અત્રે આ કાળમાં અવતરવું થયું હોય, એમ ભાસે છે. આવા અવતારી પુરુષના આશ્રયે સેવા-ભક્તિ-પ્રેમાર્પણ દ્વારા આત્મકલ્યાણ સાધનારા ઉત્તમ આત્માર્થી પુરુષ છે ખંભાતવાસી પૂ. શ્રી અંબાલાલભાઈ.
વર્તમાનમાં પરમકૃપાળુદેવ પ્રણીત ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત' ગ્રંથની અમૃત પ્રસાદી જે આપણને સંપ્રાપ્ત થઈ છે, તેનું મહત્ શ્રેય આપણા ઉપકારી (ચરિત્રનાયક) પૂ. શ્રી અંબાલાલભાઈના ફાળે જાય છે, જે સર્વવિદિત છે.
આ અવની પરનું અમૃત એવી અલૌકિક “આત્મસિધ્ધિ’ના અવતરણના નડિયાદ મુકામે એકમાત્ર ‘મૂક સાક્ષી' રાજસેવક પૂ. શ્રી અંબાલાલભાઈ હતા. ધન્ય ભાગ્ય છે એવા વીર મૂક સેવકને ! એકનિષ્ઠપણે સતત દોઢ કલાક સુધી ખડેપગે હાથમાં ફાનસ પકડીને, કૃપાળુદેવના પરમ પવિત્ર મુખારવિંદને પૂજ્યભાવે-વિનયભાવે નિરખતાં વૈરાગ્ય ચિત્ત અંબાલાલભાઈની “આત્મસિધ્ધિ’ જેવી અમરકૃતિને અવતરતી જોવાની સુભાગ્યશાળી ‘આત્મચેષ્ટા’ને અનંતવાર વંદન હો !
પૂ. શ્રી અંબાલાલભાઈ જેવા વિનયી-વિવેકી-વૈરાગ્યવાન-સમર્પિત સેવક જોવા-જાણવામળવા અતિ દુર્લભ છે. તેમણે જે પ્રકારે પરમકૃપાળુદેવની તન-મન-ધન અને આત્મનિષ્ઠાથી સેવા કરી છે, તેવી નિઃસ્પૃહ, નિષ્કામ, નિષ્કપટ સેવા-ભક્તિ-સાધના વિરલ છે. કૃપાળુદેવની દિવસ-રાત ખડેપગે આવી સેવાનો લાભ લેનાર સદ્ભાગી શ્રી અંબાલાલભાઈને કોટિ-કોટિ પ્રણામ !
કે
શ્રી સદ્ગુરૂ પ્રત્યેનો સેવાભાવ તથા આજ્ઞાધીનવૃત્તિ તેમનામાં અજોડ હતાં. તેઓ દરેક કાર્યમાં પ્રભુની અનુમતિ માંગતા અને આજ્ઞા અનુસાર વર્તતા. એક વખત અંબાલાલભાઈને કૃપાળુદેવે પૂછ્યું કે “આ તળાવમાં પાણી કેટલું ઊંડુ છે ?” એમ પૂછ્યું કે તરત જ અંબાલાલભાઈએ એકદમ કૂદીને તળાવમાં પડવા માંડ્યું કે તરત જ કૃપાળુદેવે હાથ ઝાલ્યો અને તેમને પકડી રાખ્યા. કેવી અદ્ભૂત આજ્ઞાવશ વૃત્તિ અને કેવું સમર્પણ ! ધન્ય છે અંબાલાલભાઈની આજ્ઞાધીન દશાને અને સર્વાંગ સમર્પણ ભાવને ! આપણે તેવા ક્યારે થઈશું ?
પરમકૃપાળુદેવના દેહાવસાનના આગળના દિવસે (ચૈત્ર વદ ચોથ, વિ.સં. ૧૯૫૭) રાજકોટ મુકામે પરમકૃપાળુદેવે સ્વમુખે મોરબી સ્ટેટના ન્યાયાધિશ ધારશીભાઈને જણાવેલ કે “ધારશીભાઈ કહેવાનું ઘણું છે. અવસર નથી. અમારા સમાગમે ત્રણ પુરુષો સ્વરૂપને પામ્યા છે. સોભાગભાઈ,