________________
૫
સિંહની જેમ અતિશય નીડર થઈને સ્પષ્ટ બોલનારા અને સ્પષ્ટ લખનારા બન્યા હતા. તે વાત અત્યન્ત સાચી અને સ્પષ્ટ છે તથા શ્રીસંઘના પુણ્યે આ કામ કર્યું છે કે આવી મહાન વિભૂતિ આ શાસનમાં આવા કપરા કાલે પણ થઈ. તે જૈનસંઘનો પુણ્યોદય સમજવો.
જો કે ભૂતકાળમાં પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મ. તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મ.સાહેબ તથા પૂજ્ય મલયગિરિજી મ.સાહેબ આદિ અનેક મહાત્મા પુરુષોએ અન્ય દર્શનોની ખોટી ખોટી માન્યતાઓનું ખંડન કરીને જૈનદર્શનના અનેકાન્તવાદની વિજયપતાકા ફરકાવેલી મળે છે. પરંતુ તે સઘળુંય સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ઉપલબ્ધ છે જ્યારે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીની રચનાવાળું સાહિત્ય લગભગ ગુજરાતી ભાષામાં ઘણું ખરું જોવા મળે છે જે આજે બધા જ સંપ્રદાયોમાં પઠનપાઠનને યોગ્ય બન્યું છે. આ એક મોટી વિશેષતા છે.
આ ષડ્થાન ચઉપ્પઈ પણ ગુજરાતી ભાષામાં જ કાવ્યરૂપે બનાવાઈ છે અને છએ દર્શનોની એકાન્ત માન્યતાઓનું ધારદાર દલીલો દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. માટે આ ગ્રંથ વારંવાર સતત પઠન-પાઠનને યોગ્ય છે. વિદ્યાર્થીઓને નિરંતર વાંચવા માટે અમારો અતિશય આગ્રહ છે.
પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે સમ્યક્ત્વના ૬૭ બોલની સજ્ઝાય, આઠ દૃષ્ટિની સજ્ઝાય, સવાસોદોઢસો અને સાડા ત્રણસો ગાથાનાં સ્તવનો ઈત્યાદિ સાહિત્ય ગુજરાતીમાં જ બનાવીને આપણા ઉપર (ગુજરાતીઓ ઉપર) ઘણો જ ઉપકાર કર્યો છે. જો દિવાદાંડીતુલ્ય આ મહાત્મા ન થયા હોત અથવા તેમણે જો આ સાહિત્ય ન રચ્યું હોત તો આપણા સમાજમાં આટલું વિશાળ જ્ઞાન વૃદ્ધિ પામત નહીં. માટે તેઓનો ઘણો જ આપણા ઉપર ઉપકાર છે. તેથી આ મહાત્મા પુરુષને કોટિ કોટિ વારંવાર વંદના.
અમે અમારી શક્તિ પ્રમાણે આ ચઉપ્પઈના અર્થો લખ્યા છે અને લખીને પ્રકાશિત કર્યા છે. અમારું આ લખાણ શાસ્ત્રાનુસારી થાય એવો