________________
પ્રકાશકનું નિવેદન
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ઈ.૧૯૭૩થી ૧૯૮૧ દરમ્યાન ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઇતિહાસના ચાર ગ્રંથો પ્રગટ કરવામાં આવ્યા હતા. એ પછી ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાતી સાહિત્ય કોશના ત્રણ ગ્રંથોનું પ્રકાશન પણ કર્યું હતું. અને એમાં, ખાસ કરીને, મધ્યકાળના સાહિત્ય વિશે ચકાસણી કરીને અધિકૃત વિગતો પ્રગટ કરી હતી.
ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ચાર ગ્રંથો ઘણા લાંબા સમયથી અપ્રાપ્ય હતા. એથી એમાંની સામગ્રીનું શોધન કરાવીને એ ગ્રંથોને સુલભ કરી આપવાનો પરિષદે નિર્ણય કર્યો હતો. એટલે એની પ્રથમ આવૃત્તિના સહાયક સંપાદક શ્રી ચિમનલાલ ત્રિવેદીના પરામર્શનમાં, “ગુજરાતી સાહિત્યકોશ'ના પ્રથમ ખંડના સહસંપાદક અને બીજા ખંડના એક સંપાદક શ્રી રમણ સોનીને આ ગ્રંથોના શોધન-સંપાદનની જવાબદારી સોંપવામાં આવી હતી.
એ આનંદની વાત છે કે શ્રી રમણભાઈનાં સૂઝ અને ચોકસાઈનો તથા શ્રી ચિમનભાઈના અનુભવનો લાભ મળતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસના પ્રથમ ગ્રંથની બીજી આવૃત્તિનું યોગ્ય શોધન-સંપાદન થઈ શક્યું હતું અને એ જ રીતે બીજા ગ્રંથના પ્રથમ ખંડ(ઈ.૧૪૫૦-૧૬૫૦)ની આ નવી આવૃત્તિ પણ શોધિતવર્ધિત રૂપે પ્રગટ થાય છે. આ રીતે જ બાકીના ગ્રંથોની શોધિત-સંપાદિત બીજી આવૃત્તિ ક્રમેક્રમે પ્રગટ કરવામાં આવશે. ચોથા ગ્રંથના અનુસંધાનમાં પાંચમા અને છઠ્ઠા ગ્રંથમાં અદ્યતન સમય સુધીનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આવરી લેવામાં આવશે. એની કામગીરી કલા.સ્વાધ્યાયમંદિર તરફથી ઝડપભેર આગળ ચાલી રહી છે.
આ શોધિત આવૃત્તિના સંપાદક શ્રી રમણ સોનીના અને પરામર્શક શ્રી ચિમનલાલ ત્રિવેદીના અમે આભારી છીએ. '
ગુજરાત સાહિત્ય અકાદમીએ આ બીજી આવૃત્તિના પ્રકાશન માટે આર્થિક સહાય આપી છે. એ માટે પરિષદ અકાદમીનો પણ આભાર માને છે.
હર્ષદ ત્રિવેદી પ્રકાશનમંત્રી