________________
પણ, વધી જવાનાં. આ ઇતિહાસગ્રંથોની પ્રથમ આવૃત્તિનું સંપાદન, તેમજ સહસંપાદન, ગુજરાતીના ઉત્તમ વિદ્વાનો-સારસ્વતોના હાથમાં સોંપાયેલું હોવાથી તેમજ એના સહયોગી લેખક તરીકે પણ આપણા કેટલાક તજ્જ્ઞ અભ્યાસીઓની મદદ મળી હોવાથી સાહિત્યના ઇતિહાસને સમૃદ્ધ કરે એવા તેજસ્વી અંશો આ ગ્રંથોમાં અવશ્ય દેખાય છે. તેમ છતાં, ભલે દરેકની આગવી છતાં ભિન્નભિન્ન શૈલીઓના – ને ખાસ તો લેખનપદ્ધતિના – જુદાપણાનો સામનો કરવાનો તો આ બૃહદ ઇતિહાસને પણ આવ્યો છે. એ ઘણે અંશે સ્વાભાવિક પણ ગણાય એટલે આ શોધિત-વર્ધિત આવૃત્તિમાં પણ પરિરૂપ ને લેખનપદ્ધતિની પૂરી એકવાક્યતા સુધી જવું તો શક્ય હતું નહીં છતાં અહીં યથાશક્ય, ને જરૂરી એટલી, એકવાક્યતા સાધવાની મથામણ કરી છે. અલબત, એમ કરવામાં પણ, સ્વાભાવિક રીતે જ, ઘણી જહેમત લેવાની થઈ છે.
પુસ્તકમાં લેખનપદ્ધતિની એકરૂપતા માટે આ મુજબનાં સંમાર્જન, ફેરફારો અહીં કરી લીધાં છે :
૧.૧ લ/ળના વિકલ્પવાળા શબ્દોમાં સર્વત્ર, ગુજરાતીમાં હવે રૂઢ થયેલા ળને જાળવ્યો છે. ઉ.ત. મધ્યકાળ, કુમારપાળ, સકળ વગેરે; પરંતુ કૃતિનામોમાં મૂળનો લ' જાળવ્યો છે. જેમકે “કુમારપાલપ્રબંધ'. તત્સમ પ્રત્યયોવાળાં પદોમાં લ’ રૂઢ રહ્યો છે એટલે ત્યાં પણ એને જાળવ્યો છે : મધ્યકાલીન, તત્કાલીન વગેરે.
૧.૨ દ્વિરુક્તોને સમાસ ગણીને એનાં પદોને છૂટાંછૂટાં ન લખતાં એકશબ્દરૂપ લખ્યાં છે. જેમકે, ઠેરઠેર', 'લઈલઈને' વગેરે
૧.૩ સંદર્ભદર્શક નોંધો તે-તે પાના નીચે નહીં, પણ પ્રકરણને અંતે મુકાયેલી હોવાથી “પાદટીપ (ફુટનોટ્સ) શબ્દ રાખ્યો નથી, એને બદલે “સંદર્ભનોંધ' શબ્દ મૂક્યો છે. એ રીતે, એજનનું પણ સર્વત્ર “એ જ એવું સ્પષ્ટ અર્થ-નિર્દેશકરૂપ મૂક્યું છે.
૨ કોઈ વિશેષ સંદર્ભ જરૂરી હોય એ સિવાયનાં સ્થાનોમાં બધે સંવતને ઈસવી સનમાં ફેરવીને વર્ષનિર્દેશો કર્યા છે. અલબત્ત, જ્યાં કૃતિનું રચનાવર્ષ વગેરે (એની પંક્તિઓનો આધાર લઈને) તિથિ-વાર-માસ-વર્ષ(સંવત) – એમ સર્વ વિગતો સાથે દર્શાવ્યાં હોય, કે એવા બીજા નિર્ણાયક બનનારા વિગત નિર્દેશો હોય ત્યાં તિથિમાસ સમેત સંવત તથા ઈસવી સન બંને જાળવ્યાં છે. આ સિવાય બધે જ, સંવત ને ઈસવી સન સાથેસાથે દર્શાવ્યાં હોય એમાંથી ઈસવી સન જ જાળવ્યા છે. આંકડાકીય બ્રાન્તિની સંભાવનાને ટાળનારી વિશદતાના સંદર્ભે આ ફેરફાર ઉપયોગી જણાયો છે. ગ્રંથમાં બધે જ સદી-નિર્દેશો તો ઈસવી સન પ્રમાણે જ થયા છે (જેમકે, ઈ.ની ૧૨મી સદી, વગેરે) - એ જોતાં પણ ઉપર મુજબના ફેરફારની