________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૫૨
પુષ્પચૂલા
ગંગા નદીના તટ પર પુષ્પભદ્રા નામે નગર હતું. ત્યાં પુષ્પકેતુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પુષ્પાવતી નામે રાણી હતી. તે રાણીને એકદા એક સાથે બે બાળકો પ્રસવ્યાં. તેમાં એક પુત્ર અને એક પુત્રી હતી. તે બંનેનાં નામ અનુક્રમે પુષ્પસૂલ અને પુષ્પચૂલા રાખ્યાં. સાથે રમતગમત કરતાં કરતાં અને મોટાં થતાં તે બંને બાળકોને જોઈને રાજાને એક વાર વિચાર થયો કે, જો આ બે બાળકો લગ્નના કારણે જુદાં પડશે તો તેઓનો સ્નેહ ખંડિત થતાં તેઓ મૂંઝાઈને ઝૂરી મરશે. વળી હું પણ તેઓનો વિયોગ સહન કરી શકીશ નહીં. એટલે તેઓ બંનેનો પરસ્પર લગ્ન-સંબંધ કર્યો હોય તો ઠીક થાય. એવા વિચારે તેણે રાજસભામાં મંત્રીને સર્વ સન્મુખ પ્રકટપણે પૂછ્યું કે, 'અંત:પુરમાં જે રત્નો ઉત્પન્ન થાય તેનો સ્વામી કોણ ? મંત્રીએ જવાબ દીધો જે, 'આપ જ તેના સ્વામી કહેવા.' આ ઉપરથી તેણે પોતાનાં પુત્ર-પુત્રીનો પરસ્પર વિવાહ કર્યો; આ દુષ્કૃત્ય રાણી માતાને ન ખમાયું. તે ઘણો જ ખેદ પામી અને વૈરાગ્ય પામીને વ્રત ધારણ કર્યું. તીવ્ર તપશ્ચર્યા કરીને તે રાણી મૃત્યુ પામીને સ્વર્ગને વિષે દેવતાપણે ઉત્પન્ન થઈ. પુષ્પકેતુ રાજા પણ મૃત્યુ પામ્યો, એટલે પુષ્પચૂલે રાજ્ય પદ ધારણ કર્યું અને પોતાની સગીબહેન સાથે સંસાર-વહેવારના ભોગ ભોગવતો રહ્યો. પુષ્પાવતી રાણીનો જીવ જે દેવપણે ઉત્પન્ન થયેલ છે, તેણે અવધિજ્ઞાનથી આવું અકૃત્ય થતું દેખી વિચાર્યું કે, અહો ! આ જગતના જીવો કેટલા બધા કામાંધ છે કે, રાગમાં આસક્ત થઈ કાર્ય-અકાર્યનો પણ કંઈ વિચાર કરતા નથી. આ બંને જણને કંઈક બોધ આપવો જરૂરી છે, એમ ધારી પુષ્પચૂલા ઉપર ઘણો પ્રેમ હોવાથી તેણીને નરકનાં દુ:ખો સ્વપ્નમાં દેખાડ્યાં. આવું સ્વપ્ન દેખીને ભયભ્રાંત થતાં પુષ્પચૂલા પોતાના પતિને કહેવા લાગી કે, પાપ કરવાથી નરકમાં કેવાં દુ:ખ વેઠવાં પડે છે ? મને આજે નરકનાં દુ:ખ જોવાથી ઘણો જ ભય ઉત્પન્ન થયો છે. પછી રાજાએ બીજે દિવસે જોગીઓ, બાવાઓને રાજસભામાં બોલાવી પૂછ્યું કે, નરક કેવું હોય ? કોઈકે કહ્યું કે, આ જગતમાં ગર્ભાવાસમાં વસવું એ જ નરક છે. બીજા કોકે કહ્યું કે, બંદીખાનામાં પડવું એ જ નરક છે. કોઈએ જણાવ્યું કે દરિદ્રીપણે રહેવું એ જ નરક છે, ત્યારે કોકે કહ્યું કે પારકી તાબેદારી તે જ નરક છે. રાણીને આ સર્વે ઉત્તર બરાબર ન લાગવાથી છેવટે જૈન
૬૪