________________
તીર્થયાત્રા અને તેની વિધિ.
૨૮૫
શુભ ભાવ ઉત્પન્ન કરે છે અને ભવસમુદ્રમાંથી તારે છે માટે તે ભૂમિઓ પણ તીર્થ જ કહેવાય છે. આ તીર્થોમાં સમ્યક્ત્વશુદ્ધિને માટે ગમન કરવું તે તીર્થયાત્રા કહેવાય છે. તેનો વિધિ એ છે કે ઃ
એક આહાર, સચિત્તપરિહાર, ભૂમિશયન, બ્રહ્મચર્ય વ્રત વગેરે કઠણ અભિગ્રહો યાત્રા કરાય ત્યાં સુધી પળાય એવા પ્રથમ ગ્રહણ કરવા. પાલખી, સારા ઘોડા, પલંગ વગેરે સમગ્ર ઋદ્ધિ હોય તો પણ યાત્રા કરવા નીકળેલા ધનાઢ્ય શ્રાવકને પણ શક્તિ હોય તો પગે ચાલવું જ ઉચિત છે. કેમકે યાત્રા કરનાર શ્રાવકે ૧. એકાહારી, ૨ સમકિતધારી, ૩. ભૂમિશયનકારી, ૪. સચિત્તપરિહારી, ૫. પાદચારી અને ૬. બ્રહ્મચારી રહેવું. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું કે યાત્રા કરતાં વાહનમાં બેસે તો યાત્રાનું અર્ધું ફળ જાય, પગરખાં પહેરે તો ફળનો ચોથો ભાગ જાય, મુંડન ન કરે તો ત્રીજો ભાગ જાય અને તીર્થે જઈને દાન લે તો યાત્રાનું સર્વ ફળ જતું રહે. માટે તીર્થયાત્રા કરનાર પુરુષે એક ટંક ભોજન કરવું, ભૂમિ ઉપર સૂવું અને સ્ત્રી ઋતુવંતી છતાં પણ બ્રહ્મચારી રહેવું.
ઉપર કહ્યા પ્રમાણે અભિગ્રહ લીધા પછી શક્તિ પ્રમાણે રાજાને ભેટણું વગેરે આપી પ્રસન્ન કરી તેની આજ્ઞા લેવી. યાત્રામાં સાથે લેવા માટે શક્તિ પ્રમાણે ઉત્તમ મંદિર તૈયાર કરવાં. સ્વજનના તથા સાધર્મિ ભાઈઓના સમુદાયને યાત્રાએ આવવા માટે નિમંત્રણ કરવું. પરમભક્તિથી સદ્ગુરુને પણ નિયંત્રણ કરવું. અમારિ પ્રવર્તાવવી. જિનમંદિરોમાં મહાપૂજાદિ મહોત્સવ કરાવવા. જેની પાસે ભાતું ન હોય તેને ભાતું તથા જેને વાહન ન હોય તેને વાહન આપવું. નિરાધાર માણસોને પૈસાનો તથા સારા વચનનો આધાર આપવો.
યોગ્ય મદદ આપીશ એવી ઉદ્ઘોષણા કરી ઉત્સાહ વિનાના યાત્રાળુ લોકોને પણ સાર્થવાહની જેમ હિંમત આપવી. આડંબરથી મોટા અને અંદરના ભાગમાં ઘણા સમાસવાળી કોઠીઓ, શરાવલાં, કનાતો, તંબૂઓ, મોટી કઢાઈયું તથા બીજા પણ પાણીનાં મોટાં વાસણો વગેરે કરાવવાં. ગાડાં, પડદાવાળા રથ, પાલખી, પોઠિયા, ઊંટ, અશ્વ વગેરે વાહનો સજ્જ કરાવવાં. શ્રીસંઘની રક્ષા માટે ઘણા શૂર સુભટોને સાથે લેવા અને કવચ શિરસ્ત્રાણ વગેરે ઉપકરણ આપીને તેમનો સત્કાર કરવો. ગીત, નૃત્ય, વાજિંત્ર વગેરે સામગ્રી તૈયાર કરાવવી. પછી સારા શકુન, નિમિત્ત વગેરે જોઈને ઘણા ઉત્સાહવાળા થઈ સારા મુહૂર્તે યાત્રાએ જવું.
માર્ગમાં યાત્રાળુના સર્વ સમુદાયને એકઠો કરવો. સારાં પાન્નો જમાડી તેમને તાંબૂલ વગેરે આપવું. તેમને અંગે આભૂષણ તથા વસ્ત્રો પહેરાવવાં સારા પ્રતિષ્ઠિત, ધર્મિષ્ઠ, પૂજ્ય અને ઘણા ભાગ્યશાળી પુરુષો પાસે સંઘવીપણાનું તિલક કરાવવું. સંઘપૂજા વગેરે મોટો ઉત્સવ કરવો. બીજાઓ પાસે પણ યોગ્યતા પ્રમાણે સંઘવીપણા વગેરેનું તિલક કરવાનો ઉત્સવ કરાવવો. સંઘનું જોખમ માથે લેનારા, આગળ ચાલનારા, પાછળ રહી રક્ષણ કરનારા તથા મુખ્યપણે સંઘનું કામ કરનારા વગેરે લોકોને યોગ્ય સ્થાનકે રાખવા. શ્રી સંઘના ચાલવાના તથા મુકામ વગેરેના જે ઠરાવ થયા હોય તે સર્વ પ્રસિદ્ધ કરવા. માર્ગમાં સર્વે સાધર્મીઓની સારી રીતે સારસંભાળ કરવી. કાંઈ હરકત આવે તો પોતે તેમને સર્વ શક્તિએ યોગ્ય મદદ કરવી.