________________
શેઠની પુત્રીનું દષ્ટાંત.
૧૭૧ કહ્યું છે કે સગા ભાઈઓમાં વિવાદ હોય તો પારકા પુરુષો જ મટાડી શકે. કારણ કે ગુંચવાઈ ગયેલા વાળ કાંચકીથી જ જુદા થઈ શકે છે. ન્યાય કરનારા પુરુષોએ પણ મધ્યસ્થ વૃત્તિ રાખીને જ ન્યાય કરવો. અને તે પણ સ્વજનનું અથવા સ્વધર્મી આદિનું કાર્ય હોય તો જ સારી રીતે સર્વ વાતનો વિચાર કરીને કરવો. જ્યાં ત્યાં ન્યાય કરવા ન બેસવું. કારણ કે લોભ ન રાખતાં સારી રીતે ન્યાય કરવામાં આવે તો પણ તેથી જેમ વિવાદનો ભંગ થાય છે અને ન્યાય કરનારને મોટાઈ મળે છે તેમ તેથી એક આ દોષ ઉત્પન્ન થાય છે કે વિવાદ ભાંગતાં ન્યાય કરનારના ધ્યાનમાં વખતે ખરી બીના ન આવવાથી દેવું ન હોય તો તે માથે પડે છે અને કોઈનું ખરું દેવું હોય તો તે ભાગી જાય છે. પ્રસ્તુત વિષય ઉપર એક વાત સંભળાય છે કે - શેઠની પુત્રીનું દષ્ટાંત.
એક ઋદ્ધિવંત શ્રેષ્ઠી લોકમાં બહુ પ્રખ્યાત હતો. તે મોટાઈના અને બહુમાનના અભિમાનથી જ્યાં ત્યાં ન્યાય કરવા જાય. તેની વિધવા પણ ઘણી સમજુ એવી એક પુત્રી હતી. તે હંમેશાં શ્રેષ્ઠીને તેમ કરતાં અટકાવવાનો પ્રયત્ન કરે પણ તેનું કહ્યું માને નહીં. એક વખત શ્રેષ્ઠીને બોધ કરવાને અર્થે પુત્રીએ ખોટો ઝગડો માંડ્યો, તે એ રીતે કે પૂર્વે થાપણ મૂકેલા મારા બે હજાર સોનૈયા આપો તો જ હું ભોજન કરું. એમ કહીને તે શ્રેષ્ઠી પુત્રી લાંઘણ કરવા લાગી. કોઈ પણ રીતે માને નહીં પિતાજી વૃદ્ધ થયા તો પણ મારા ધનનો લોભ કરે છે ઈત્યાદિ જેવાં તેવાં વચન બોલવા લાગી.
પછી શ્રેષ્ઠીએ લજવાઈને ન્યાય કરનાર લોકોને બોલાવ્યા. તેમણે આવીને વિચાર કર્યો કે “આ શ્રેષ્ઠીની પુત્રી છે અને બાળ-વિધવા છે માટે એની ઉપર દયા રાખવી જોઈએ.” એમ વિચારી ન્યાય કરનાર પંચોએ શ્રેષ્ઠી પાસેથી બે હજાર સોનૈયા પુત્રીને અપાવ્યા તેથી શ્રેષ્ઠીએ એ પુત્રીએ ફોગટ મારું ધન લીધું અને લોકમાં ખમાય નહીં એવો અપવાદ ફેલાવ્યો, એવો વિચાર કરીને મનમાં બહુ ખેદ પામ્યો. થોડીવાર પછી પુત્રીએ પોતાનો સર્વ અભિપ્રાય શ્રેષ્ઠીને સારી રીતે કહી સમજાવી સોનૈયા પાછા આપ્યા. તેથી શ્રેષ્ઠીને હર્ષ થયો અને ન્યાય કરવાના પરિણામ ધ્યાનમાં ઉતારવાથી જ્યાં ત્યાં ન્યાય કરવાનું છોડી દીધું. આ રીતે ન્યાય કરનારનું દૃષ્ટાંત છે.
માટે ન્યાય કરનાર પંચોએ જ્યાં ત્યાં જેવો તેવો ન્યાય ન કરવો. સાધર્મીનું, સંઘનું, મોટા ઉપકારનું અથવા એવું જ યોગ્ય કારણ હોય તો ન્યાય કરવો. કોઈની ઈર્ષ્યા ન કરવી.
કોઈ જીવની સાથે મત્સર ન કરવો. લક્ષ્મીની પ્રાપ્તિ કર્માધીન છે. માટે નકામો મત્સર કરવામાં શું લાભ છે ? તેથી બન્ને ભવમાં દુઃખી થાય છે. જ કહ્યું છે કે જેવું બીજાનું ચિંતવે તેવું પોતે પામે. એમ જાણતાં છતાં કયો માણસ બીજાની લક્ષ્મીની વૃદ્ધિ જોઈને મત્સર કરે? તેમજ ધાન્યના વેચાણમાં લાભ માટે દુભિક્ષની ઔષધિમાં લાભ થવા માટે રોગવૃદ્ધિની તથા વસ્ત્રમાં લાભ થવાને માટે અગ્નિ આદિથી વસ્ત્રના ક્ષયની ઇચ્છા ન કરવી. કારણ કે જેથી લોકો સંકટમાં આવી પડે એવી ઈચ્છા કરવાથી કર્મબંધન થાય