________________
[૧૯.૨] સિદ્ધક્ષેત્ર
૩૪૩ સિદ્ધક્ષેત્રે ન ઓળખે એક્બીજાને, ઝળહળે સ્વરૂપે
પ્રશ્નકર્તા : જગતમાંથી કેટલાય આત્માઓ મોક્ષ પામતા હશે. હવે એ આત્માઓ ત્યાં જઈને સ્થિર થતા હશે, તો આ બધાય આત્માઓ એકબીજાને ઓળખી શકતા હશે ખરા ? આ દાદા ભગવાનનો આત્મા, આ નીરુબેનનો આત્મા એમ ?
દાદાશ્રી: ના, એવું કશું હોય જ નહીંને ત્યાં આગળ. વિશેષણ હોય જ નહીં. સિદ્ધક્ષેત્રમાં જે આત્માઓ છે ત્યાં વિશેષણવાળી ચીજ નથી અને ચોખ્ખું પોતાના સ્વરૂપમાં જ ઝળહળે છે. બધી આ લાઈટ મૂકેલી હોય, તે લાઈટ બધી સામસામી લાઈટ જુએ એ રીતે.
પ્રશ્નકર્તા ઃ અંદર અંદર બેઠા હોયને બધા, તોયે ઓળખે નહીં ?
દાદાશ્રી: નહીં, ઓળખાણ તો જ્યાં સુધી એ પોતાના એની જોડે કર્મનો હિસાબ છે ને, ત્યાં સુધી જ હોય.
નિરાલંબ, નિર્વિકલ્પ, અકલ્પનીય સ્થિતિ સિદ્ધક્ષેત્રે
પ્રશ્નકર્તા : દાદા, તો મોક્ષમાં એક આત્મા બીજા આત્માને કૉન્ટેટ્સ ખરા? જેમ આપણે આવી રીતે વાત કરીએ...
દાદાશ્રી : કશું લેવાય નહીં ને દેવાય નહીં.
કોઈ અવલંબન નહીં, પરમાત્મપદ ! અવલંબન હોય તો પરવશતા હોય. કંઈ પણ વસ્તુનું અવલંબન લ્યો, એના વગર મારે નહીં ચાલે એટલે પરવશતા થઈ. કશું જોઈએ જ નહીં, નિરાલંબ સ્થિતિ !
પ્રશ્નકર્તા: તો પછી સિદ્ધક્ષેત્રમાં બધા આત્માઓ છે, એ બધા પોતપોતામાં જ છે ?
દાદાશ્રી: હા, એમને કોઈને બીજા જોડે કશી લેવાદેવા જ નહીં. એવું છે ને, આ જગતમાં કોઈ કોઈનેય કશી લેવાદેવા છે જ નહીં અને જે કંઈ છે એ નિમિત્તમાત્ર છે. આ હુંય નિમિત્ત જ છું.