________________
( પ્રકાશકીય)
પદાર્થપ્રકાશ ભાગ ૧૮ને પ્રકાશિત કરતા આજે અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ પુસ્તકમાં શ્રીસિદ્ધપ્રાભૃત અને શ્રીસિદ્ધપંચાશિકા - આ બે ગ્રંથોના પદાર્થોનો સંગ્રહ કર્યો છે અને મૂળગાથા - ટીકા - અવયૂરિનું સંકલન પણ કર્યું છે. આ બન્ને ગ્રન્થોમાં સિદ્ધભગવંતો સંબંધી વિસ્તૃત માહિતી આપી છે. આ પુસ્તકનું સંકલન-સંપાદન પરમ પૂજય વૈરાગ્યદેશનાદશ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ કરેલ છે. પૂજ્ય ગુરુદેવશ્રી પદાર્થોને સરળ અને રસાળ શૈલીમાં પીરસવાની આગવી કળા ધરાવે છે. પૂજયશ્રીએ આજ સુધીમાં અનેક પદાર્થગ્રન્થોના પદાર્થો અને મૂળગાથા – શબ્દાર્થોનું સંકલન કર્યું છે જે પદાર્થપ્રકાશશ્રેણિરૂપે પ્રકાશિત થયા છે. આ શ્રેણિમાં આજ સુધી ૧૭ ભાગો પ્રકાશિત થયા છે જેમાં ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રન્થ, બૃહસંગ્રહણી, ક્ષેત્રસમાસ, કર્મપ્રકૃતિ, બાર પ્રકીર્ણક ગ્રન્થો, તત્ત્વાર્થાધિગમસૂત્ર, શ્રાવકવ્રતભંગ પ્રકરણ અને ગાંગેયભંગપ્રકરણ – આ ગ્રન્થોના પદાર્થસંગ્રહ અને મૂળગાથા - શબ્દાર્થનું સંકલન થયું છે. આ જ શ્રેણિમાં આગળ વધતાં આજે આ ૧૮મો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. આ શ્રેણિનું સંકલન-સંપાદન કરનાર પૂજ્ય ગુરુદેવશ્રીના અમે ખૂબ ખૂબ ઋણિ છીએ. આ અવસરે પૂજ્યશ્રીને અમે કૃતજ્ઞભાવે વંદન કરીએ છીએ.
પદાર્થપ્રકાશશ્રેણિમાં પદાર્થોનું સંકલન સરળ છતાં સચોટ અને સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ શૈલીથી થયું છે. તેથી અભ્યાસુ આત્માઓ આ શ્રેણિના માધ્યમે ટૂંક સમયમાં પદાર્થગ્રન્થોનો ઝડપી અને સાંગોપાંગ અભ્યાસ કરી શકે છે. આજ સુધી અનેક પુણ્યાત્માઓએ આ શ્રેણિના પુસ્તકો દ્વારા સુંદર અભ્યાસ કર્યો છે. આગળ પણ આ જ રીતે અમને જ્ઞાનપિપાસુ આત્માઓનો લાભ મળતો રહે એજ શુભભાવના.