________________
શ્રુતપૂજા
શબ્દ અને શિલ્પ થકી જ ધર્મ અને સંસ્કૃતિ જીવંત રહે છે. એટલે આ બે તત્ત્વોનું પૂજન કરવું એ માનવ માત્રની પવિત્ર ફરજ છે.
જૈન ધર્મનું પ્રાચીન, મધ્યકાલીન અને વર્તમાન સાહિત્ય વિપુલ છે. લગભગ વીસેક લાખ હસ્તપ્રતો ભારતના વિવિધ જ્ઞાનભંડારોમાં જીવંત છે. આ પ્રતો ઉકેલવાની છે. એ પ્રતો તેમ જ પ્રકાશિત થયેલા અમૂલ્ય ગ્રંથોમાંથી તંતુ શોધી એનું ભાષ્ય કરી વર્તમાન શૈલીમાં એ જ્ઞાનને લબ્ધ પણ કરવાનું છે.
ભૂતકાળે આપણને સાહિત્યનો અમૂલ્ય વારસો આપ્યો છે, તો વર્તમાનમાં આપણે એ શબ્દ ઝવેરાતને સાચવવાનું છે, અને એમાં પૂજનનો ભાવ હોય તો જ એ શક્ય બને અને દીપી ઊઠે.
આ ઉદ્દેશને લક્ષમાં રાખીને ઉદાર શ્રુત પૂજકોની સહાયથી૧૯૭૭થી શ્રી મહાવીર જૈન વિદ્યાલય લગભગ પ્રતિ બે વર્ષે જૈન સાહિત્ય સમારોહનું ભારતના વિવિધ તીર્થસ્થોનોએ આયોજન કરે છે.
આ સમારોહમાં ભારતના વિવિધ પ્રદેશોમાંથી ચારેય ફિરકાના જૈન અને અજૈન વિદ્વાનો પોતાના શોધ નિબંધો લઈને પધારે છે. લગભગ ત્રણ કે ચાર દિવસ માટે યોજાતા આ સમારોહમાં વિદ્વાનો પોતપોતાના નિબંધનું અંશતઃ પઠન કરે છે અને આગામી સમારોહ વખતે એ નિબંધોનું પુસ્તક આકારે પ્રકાશન થાય છે, જેથી વિદ્વદ્શનોનું આ સંશોધન ભવિષ્યની પેઢી માટે જળવાઈ રહે.
રૂપ માણેક ભેંશાલી ટ્રસ્ટના સૌજન્યથી ૨૦મો સમારોહ રતલામમાં, ૨૧મો પાવાપુરી રાજસ્થાનમાં અને ૨૨મો મોહનખેડા મધ્યપ્રદેશમાં યોજાયો.
આ પ્રત્યેક સમારોહમાં લગભગ ૨૫૦ વિદ્વાનો અને સાહિત્ય જિજ્ઞાસુઓ
પધાર્યા.
સામાન્ય રીતે લગભગ એક વર્ષ પહેલાં આગામી સમારોહ માટેના વિષયની જાહેરાત થાય છે, જેથી વિદ્વાનોને લેખન માટે પૂરતો સમય મળે.
4