________________
પરિશીલનની પૂર્ણતાની પળે...
આ પૂર્વે એકત્રીસમી બત્રીસીમાં મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવ્યું. હવે આ બત્રીશીમાં મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનેલા સજ્જનોની સ્તવના કરવામાં આવી છે. તેઓની અનેકાનેક વિશેષતાઓનું વર્ણન અહીં વિસ્તારથી કરવામાં આવ્યું છે. સાથે સાથે દુર્જનોની મનોદશાનો પણ ખ્યાલ અપાયો છે. લગભગ અઢાર શ્લોકોથી આ રીતે સજ્જન અને દુર્જનના સ્વરૂપાદિનું વર્ણન કરીને ગ્રંથકારશ્રીએ પોતાના પૂજ્ય પૂર્વતન મહાપુરુષોનો પરિચય કરાવીને પૂ. ગુરુદેવાદિની પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કર્યો છે. તેઓશ્રીની પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતી વખતે પોતાની અકિંચન અવસ્થાને માર્મિક રીતે વર્ણવી છે. હૃદયસ્પર્શી એ વર્ણનનું પરિશીલન આત્માને પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેના બહુમાનથી પ્લાવિત કરી દેનારું છે.
આ ગ્રંથની અવિચ્છિન્ન પરંપરાથી પ્રાપ્ત થનારો યશ, આ ગ્રંથના નિર્માણ માટેનું સામર્થ્ય અને આ ગ્રંથના અધ્યયનાદિથી પ્રાપ્ત થનારું ફળ... ઈત્યાદિનું અદ્ભુત વર્ણન આ બત્રીસીના અંતિમ ભાગમાં કરાયું છે... આ રીતે ‘દ્વાત્રિંશદ્દ્વાત્રિંશિકા' પ્રકરણની અહીં સમાપ્તિ થાય છે.
આ ગ્રંથની રચના ગહન છે. ગ્રંથકાર પરમર્ષિએ એ વાત આ બત્રીસીમાં જણાવી છે. આજના આ વિષમ કાળમાં આ ગ્રંથનું અધ્યયન ખૂબ જ અલ્પ પ્રમાણમાં થતું હતું. આજથી લગભગ બત્રીસ વર્ષ પૂર્વે સ્વ. પૂજ્યપાદ મારા અનંતોપકારી પરમતારક આ.ભ.શ્રી.વિ. રામચંદ્ર સૂ. મહારાજાએ પ્રથમ બત્રીશીના એકત્રીસમા શ્લોક અંગે મને સામાન્યપણે પૂછ્યું હતું. તેથી ત્યારે આ ગ્રંથના અધ્યયનની મેં શરૂઆત કરી હતી. ત્યાર પછી બે-ત્રણવાર આ ગ્રંથના અધ્યાપનનો પ્રસંગ મને પ્રાપ્ત થયો હતો. તે દરમ્યાન અધ્યાપનની સુગમતા માટે કેટલાંક વિષમસ્થળે મેં સંસ્કૃતમાં ટિપ્પણી કરી લીધી હતી. પરંતુ વિ.સં. ૨૦૪૫ ના કા.વ. ૪ના દિવસે લાલબાગ-મુંબઈમાં