________________
(૧૨)
કોઈ પણ પ્રકારે રોગ મટાડવા જેમ ઉપાય, માંદા માણસના કરીએ છીએ; તેના કરતાં વધારે અગત્યનું કામ તેના ભાવ ભક્તિ આદિમાં, શુભભાવમાં વળે તેમ કરવાથી અત્યારે પણ તેને દુઃખ વિસારે પડે અને નવાં કર્મ બંધાતાં પલટાઈ જાય; નિર્જરાનું કારણ બંનેને, સાંભળનારને તથા સંભળાવનારને થાય. લૌકિક રીતે જોવા જવું અને ખબર પૂથ્વી તેના કરતાં તેને પુરુષની, તેના ઉપદેશની સ્મૃતિ આવે તેમ મુમુક્ષુ સર્વેએ વર્તવા યોગ્ય છેજી. ખરી રીતે તો જેના પરમાર્થમાર્ગ પ્રત્યે ભાવ મંદ પડતા જાય છે, તે માંદો છે અને મંદવાડમાં પણ
જો ભાવ ચડતા રહેતા હોય તો તેનો દેહ માંદો છે અને જીવ સાજો છે, એમ છેજી. | (બો-૩, પૃ. ૨૦૯, આંક ૨૦૭). D આપની તબિયત ઘણા દિવસથી અસ્વસ્થ રહ્યા કરે છે એમ સાંભળી, ધર્મપ્રેમથી ખેદ થયો, પણ નિરૂપાયતા જાણી તે શમાવ્યો છેજી. રૂડા જીવોને પણ વિશેષ વેદનાના વખતે ધીરજ રાખવી કઠણ થઈ પડે છે, તો પણ તેવા પ્રસંગમાં ગફલતમાં રહેવાથી આકરાં કર્મ વખતે બંધાઈ જાય છે; માટે મુમુક્ષુજીવે તો બહુ સાવધાની રાખવી યોગ્ય છેજી. પૂર્વકર્મ ભોગવતાં કંટાળો કે ખેદ આણવો ઘટતો નથી. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.'' (૮૧૯) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે વારંવાર વિચારી, છૂટવાની ભાવના ક્ષણે-ક્ષણે વધે અને ઉપશમભાવ, નિઃસ્પૃહભાવ, સુખદુઃખ પ્રત્યે સમભાવ વિશેષ-વિશેષ વર્ધમાન થાય તેવી વિચારણામાં વૃત્તિ રાખવી ઘટે છેજી. જીવે અજ્ઞાનભાવે બાહ્ય સુખોની લાલસામાં લપટાઇ, જે પાપ ઉપાર્જન કર્યા તેનું આ ફળ આવ્યું છે; માટે હવે આ સંસારનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ વર્ણવ્યું છે તે જ પ્રકારે મને વિચારવા દે, નિર્ધારવા દે એમ મનને સમજાવી, અનાથીમુનિ, ગજસુકુમાર આદિ મહાત્માઓએ આ શરીરને અશાતાનું ઘર જાણી તેના સુખની ઇચ્છા છોડી, આત્માના ઉદ્ધાર અર્થે જ્ઞાની પુરુષોએ દીધેલી શિખામણ અવધારી, શિરસાવંદ્ય જાણી, ધીરજ ધરી આજ્ઞા ઉપાસી છે, તેથી તેમણે આત્માનો ઉદ્ધાર કર્યો; તેવો જ પ્રસંગ મારા જીવનને પલટાવવાનો મને આવી મળ્યો છે તો મારે વગર ગભરાયે તેમને પગલે-પગલે ચાલી જ્ઞાનીની આજ્ઞામાં લક્ષ રાખવા અત્યંત પુરુષાર્થ કર્તવ્ય છે, એવો દૃઢ સંકલ્પ કરવો ઘટે છે. આત્મકલ્યાણનું પરમ સાધન સત્સંગ છે એમ દ્રઢ નિશ્ચય કરી, તેની ભાવના રાખી, પ્રત્યક્ષ સપુરુષ શ્રી પરમકૃપાળુદેવનાં વચનોને પ્રત્યક્ષ સત્પષતુલ્ય જાણી તેનું શ્રવણ, વાંચન, મનન, નિદિધ્યાસન કરવું, સત્સંગ થયેલી આજ્ઞા આરાધવી અને સમાધિમરણની તૈયારી કરાવવા જ આ વેદના આવી છે એમ માની, જાગ્રત-જાગ્રત રહેવાની જરૂર છેજી. સમભાવ, પરમકૃપાળુ પ્રત્યે પરમ પ્રેમ અને શક્તિ ગોપવ્યા સિવાય બને તેટલી ખેંચ રાખીને મંત્રસ્મરણ ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ''નું રટણ Æયમાં રહ્યા કરે, એવી દાઝ રાખવા ભલામણ છેજી.
કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. .... સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ.” (૪૦) એ પરમકૃપાળુદેવની શિક્ષા લક્ષમાં લેશોજી.