________________
૨૭૨
ઉત્તર : શ્રી તીર્થંકરને આહાર લેવાનું જે પક્ષ અયોગ્ય માને છે તે પણ, કેવળજ્ઞાન થયા પછીથી કવળ-આહાર ગ્રહણ કરતા નથી, એમ માને છે; જન્મથી જ આહાર નથી કરતા એવું કોઇ પક્ષવાળા માનતા નથી.
જન્મથી શ્રી તીર્થંકરને દસ અતિશય હોય છે. તેમાંનો એક અતિશય એવો છે કે તેમને નિહાર હોતો નથી; એટલે જે આહાર લે તેનું પરિણમન શરીરના અવયવો વગેરેને પોષણ પૂરતું જ હોય છે, એટલે કચરો કાઢી નાખવાનો હોતો નથી.
ગૃહસ્થાવસ્થામાં તે દેવોએ આણેલો આહાર કરે છે, પરંતુ દીક્ષા લીધા પછી ગૃહસ્થોને ત્યાં આહાર લે છે, અને તે વખતે સુવર્ણ-વૃષ્ટિ વગેરે આશ્ચર્યો દેવો તરફથી થાય છે, એવાં વર્ણન શાસ્ત્રોમાં છે.
શ્રી મહાવીર ભગવાને કેવળજ્ઞાન ઊપજવા પહેલાં અમુક દિવસ તપશ્ચર્યા કરી છે, અમુક દિવસ આહાર લીધો છે, એવી ગણતરી શાસ્ત્રોમાં છે; એટલે આહાર લે છે એમાં શંકા જેવું નથી; અને નિહાર નથી થતો એ તેમનો જન્મથી જ અતિશય છે.
કેવળજ્ઞાન થયા પછી ઔદારિક શરીર પરમ ઔદારિક બને છે અને આહારની જરૂર રહેતી નથી, એમ એક પક્ષ માને છે, એટલે કેવળજ્ઞાન થયા પછી ઘણાં વર્ષ સુધી આહાર લીધા વગર શરીર ટકી શકે છે; કારણ કે અંતરાયકર્મનો ક્ષય થવાથી અનંત લાભ નામનો ગુણ પ્રગટ થાય છે એટલે શરીરને ટકાવવા પૂરતાં તત્ત્વો આપોઆપ શરીરમાં પ્રવેશતાં રહે છે અને જૂનાં તત્ત્વો દૂર થતાં રહે છે.
આ બધી શ્રી તીર્થંકરની પુણ્યપ્રકૃતિની વાત થઇ, પરંતુ તેવા દેહને લઇને તે તીર્થંકર નથી; પરંતુ પરમાત્માપણું જેમને પ્રગટ થયું છે અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય આદિ અનંત ગુણો પ્રગટયા છે અને જગતને કેવળજ્ઞાનથી જણાયેલ સત્યનો ઉપદેશ કરવાથી જગત-જીવોનું અજ્ઞાન તેમની કૃપાથી દૂર થાય છે, તે તેમનો મહદ્ ઉપકાર છે.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જે પરમાત્માએ પ્રગટ કર્યું છે, એ જ આપણને ઉપાદેય છે, એમ જેને વિશ્વાસ પ્રગટયો છે, તે, પરમપુરુષની આજ્ઞા આરાધી આ સંસારસમુદ્રને તરી જાય છે. માટે પ્રથમ તો પરમપુરુષના આત્માનો વિશ્વાસ કરવાનો છે, તેવો જ આપણો આત્મા થઇ શકે એમ છે અને એ જ ધ્યેય રાખી આપણે બનતો પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૪૫, આંક ૭૬૫)
ન
— તીર્થંકરઅદત્ત એટલે શ્રી તીર્થંકરે આગમમાં, ગૃહસ્થને કે સાધુને વર્તવા સંબંધી છૂટ આપી છે કે આજ્ઞા કરી છે, તે આજ્ઞા પ્રમાણે વર્તે તો ચોરી ન કહેવાય અને તે તીર્થંકરનાં વચનનું ઉલ્લંઘન થાય તે પ્રમાણે વર્ષે એટલે કોઇ વસ્તુ પૂછયા વગર લે કે તેને ન ખપે તે ગ્રહણ કરે તો તે તીર્થંક૨અદત્ત છે એટલે શાસ્ત્રના નિયમને તોડવાથી તે ગુનેગાર છે, ચોર છે; અને ગોચરી વગેરે સાધુ કરે, તે વખતે શાસ્ત્રના નિયમનો લક્ષ રાખીને લીધું હોય, છતાં ગુરુ કે ગુરુ સમાન હોય તેને બતાવ્યા વિના જે ચીજ વાપરે, તે ગુરુઅદત્ત કહેવાય છે.
ગુરુની આજ્ઞામાં પ્રત્યક્ષ પુરુષની વાત છે. તીર્થંકરની આજ્ઞામાં પરંપરા શાસ્ત્ર અનુસાર વર્તનની વાત છે. કોઇ વસ્તુ લેવામાં સત્શાસ્ત્રની આજ્ઞા વિરુદ્ધ વર્તવું તે તીર્થંકરઅદત્ત અને પ્રત્યક્ષ જે ગુરુ છે તેની આજ્ઞા વગર કંઇ લેવું તે ગુરુઅદત્ત છે. બંને દોષો, અર્પણભાવ જેને થયો છે, તેમાં વિઘ્ન કરનાર છે. (બો-૩, પૃ.૬૧૯, આંક ૭૧૮)