________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૪૯ પહેલા ગુણઠાણેથી થાય છે, એમ મિથ્યાત્વાદિની મદતાની અપેક્ષાએ કહી શકાય. સમ્યક્ત્વની સન્મુખ દશાને પામેલા જીવનો ભાવ સખ્યદ્રષ્ટિ જીવના ભાવની સાથે અંશે અંશે હરિફાઇ કરનારો હોય; અને એ કારણે જ, એ ભાવ એ જીવને સમ્યકત્વ પમાડનારો બને. શ્રી વીતરાગનું શાસન સર્વદેશીય છે :
આપણે સમ્યગ્દર્શન ગુણને પામેલા છીએ ? કે, આપણામાં સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કરવાની ઇચ્છા પ્રગટી છે, એથી આપણે સમ્યકત્વની સન્મુખ દશામાં વર્તીએ છીએ ? -એ આપણે પોતે શાસ્ત્રની વાતને સમજીને નક્કી કરવું જોઇએ. આપણને આ બધું સાંભળતાં સૌથી પહેલાં તો એ પ્રતીતિ થઇ ગયેલી હોવી જોઇએ કે- “શ્રી વીતરાગનું શાસન એ એવું શાસન છે કે-એ શાસનના સાચા અભ્યાસી એવા જે આત્માઓ, તેઓને એવી સમજપૂર્વકની પ્રતીતિ હોય છે કે-જગતનાં બધાં શાસનોની સામે ઉભા રહેવાની અને ધર્મશાસન તરીકેની પરિપૂર્ણ યોગ્યતા પોતામાં હોવાનો નિશ્ચય કરાવી આપવાની શક્તિ, એક માત્ર શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં જ છે.” દુનિયામાં શાસન ઘણાં છે અને તેમાં ધર્મશાસન તરીકે પોતાને ઓળખાવનાર શાસનો પણ સંખ્યાબંધ છે. તેમાં, એક શ્રી વીતરાગ પરમાત્માના શાસન સિવાયનાં જે શાસનો છે, તેમાંનાં કેટલાંક વાસ્તવિક રીતિએ ધર્મશાસન ન હોય એવાં છે અને કેટલાંક ધર્મશાસન તરીકે ગણાય એવાં હોવા છતાં પણ આંશિક રીતિએ ધર્મશાસન ગણાય એવાં છે; પણ, અસલમાં તે તે દર્શનોની સઘળી વાતો નિરપેક્ષ હોઇને, એ કુદર્શનો છે; જ્યારે શ્રી વીતરાગ પરમાત્માનું શાસન, એ સર્વદેશીય શાસન છે. શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં, આત્માના સ્વરૂપનું વર્ણન એવી રીતિએ કરવામાં આવ્યું છે, કે જે ક્યાંય બાધિત થતું નથી.