________________
પ્રકાશકીય જીવનમાં શાંતિ અને સમાજમાં ક્રાંતિનો સંદેશ વિશ્વભરમાં પ્રસારતા પૂજ્ય બંધુત્રિપુટી મહારાજ જૈનધર્મના મહાન પ્રભાવક અને આગવી જીવન દ્રષ્ટિના ઉપાસક છે.
વિશ્વના અનેક દેશોમાં ચાલતી તેમની ધર્મયાત્રા દરમ્યાન થતા તેઓશ્રીના પ્રવચનોમાં ધર્મના મૌલિક સિદ્ધાંતોની વૈજ્ઞાનિક રજૂઆત અને જીવનસ્પર્શી અભિગમ સહુના હૃદયપટ ઉપર અમીટ છાપ ઉપસાવી જાય છે.
આવું જ એક અત્યંત પ્રેરણાદાયી પ્રવચન એટલે આ “માતૃભક્ત મહાવીર' આ પ્રવચન સાંભળીને અનેક વ્યક્તિઓના હૃદયના તાર ઝણઝણ્યા છે. અનેકની આંખો આંસુભીની બની છે.
સેંકડોની સંખ્યામાં સમાજમાં વહેંચાયેલી આ પ્રવચનની ઓડિયો-વિડિયો કેસેટોએ પણ અનેક પરિવારોમાં મનોમંથન જગાડ્યું છે અને જીવન પરિવર્તનનો એક રોમાંચક ઈતિહાસ સજર્યો છે !
આજથી પાંચ વર્ષ પૂર્વે તીથલના શાંતિનિકેતન સાધનાકેન્દ્રમાં પર્યુષણ પર્વ દરમ્યાન તેજસ્વી વક્તા પૂજયશ્રી જિનચન્દ્રજી મહારાજે આપેલું અત્યંત હૃદયસ્પર્શી આ પ્રવચન આજે પાંચમી આવૃત્તિરૂપે પુનઃમુદ્રિત થઈને આપના કરકમલમાં મૂકાઈ રહ્યું છે તેનું અમને ગૌરવ છે.
- આ પાંચમી આવૃત્તિમાં પ્રવચનની પૂર્વભૂમિકા' એ શીર્ષક હેઠળ લગભગ ૧૨ પેજનું મેટર નવું ઉમેરવામાં આવ્યું છે જેમાં જૈનધર્મમાં ઈશ્વર વિશેની માન્યતાની છણાવટ કરવામાં આવી છે જે ધ્યાનથી વાંચવા ભલામણ છે.
ભગવાન મહાવીરના હૃદયમાં માતૃભક્તિનો જેવો ભાવ હતો તેવો ભાવ આ પુસ્તિકાના વાંચન દ્વારા આપણા સહુના હૃદયમાં પણ જાગે તેવી શુભકામના સાથે, આ પુસ્તિકાના પ્રકાશનમાં તન-મન-ધનથી સહયોગી થનાર સર્વેના અમે આભારી છીએ.
ટ્રસ્ટીમંડળ - પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ