________________
સ્નાનવિધિ, લજ્જા અને મૌન, કેમ બોલવું, ભોગ ભોગવવાની રીત, શુભ કરણી, ગર્ભના ભેદ, ગૃહસ્થ(શ્રાવક)નાં ધાર્મિક કાર્યો અને ગુણો વગેરે વિષયોનું વિવરણ કર્યું છે.
કવિ ઋષભદાસની પ્રાયેઃ કરીને લગભગ બધી કૃતિઓમાં જૈનકથા સાહિત્યમાંથી અગત્યનાં મહાપુરુષોનાં, તીર્થંકરોનાં, ગણધરોનાં આદિ ચરિત્રો લઈ તેમનું કાવ્યમાં નિરૂપણ કરી કવિએ વાર્તાના શોખીન શ્રોતાઓની રુચિને પોષતું સુંદર સાહિત્ય પૂરું પાડ્યું છે.
આ ઉપરાંત વિધિ, બોધ, ઉપદેશ, હિતશિક્ષા, તત્ત્વવિચાર, વ્રતો, દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ અને તીર્થમહિમા આદિ વિષયો ઉપર પણ કવિએ રાસો રચીને જૈન ગુજરાતી સાહિત્યિક કૃતિઓની વિપુલતાના સર્જનમાં તેઓ મોખરે રહ્યા છે.
કવિ ઋષભદાસની મહાન કૃતિઓનો પ્રભાવ પરવર્તી કવિઓ પર પડ્યો છે. કવિનો ‘કુમારપાળ રાસ' પરથી સં.૧૭૪૨માં સત્તરમી સદીના બીજા એક સમર્થ જૈન કવિ ખરતરગચ્છીય જિનહર્ષગણિએ ‘કુમારપાલ’ ઉપર સંક્ષિપ્ત રાસ રચ્યો છે. તેમાં જિનહર્ષગણિ જણાવે છે કે,
રિષભ કીયો મે રાસ નિહાળી, વિસ્તરમાંહિથી ટાળી હો.
આમ આ કૃતિ તેમની નજીકના જ બીજા સમર્થ જૈન કવિને પ્રેરણારૂપ નીવડી છે. આધ્યાત્મિક દૃષ્ટિથી તેમની કૃતિઓનું મહત્ત્વ તો છે જ, સાથે સાથે ઐતિહાસિક દષ્ટિથી પણ તેમની કૃતિઓમાંથી તત્કાલીન રાજકીય, સામાજિક, ધાર્મિક આદિ પરિસ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમ જ લોકસંસ્કૃતિની ઝાંખી થાય છે. આમ સર્વાંગી જ્ઞાન તેમની કૃતિઓમાંથી પ્રાપ્ત થાય છે.
આજે એકવીસમી સદીમાં પણ તેમની કૃતિઓ લોકપ્રિય છે. તેમના સ્તવનો, સજ્ઝાયો વગેરે દેરાસરમાં ગવાય છે. તેમ જ ‘ભરતેશ્વર રાસ' જૈન મુનિઓ વ્યાખ્યાનમાં વાંચે છે.
કવિ ઋષભદાસના વતન ખંભાતની એક મુલાકાત
મારા શોધ નિબંધ ‘વ્રતવિચાર રાસ’ના રચયિતા કવિ ઋષભદાસનું વતન ખંભાત તેમ જ તેમનું મકાન જોવાની મને અદમ્ય ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. તે જિજ્ઞાસારૂપે અમે તારીખ ૬૭-૦૮ ના રોજ ખંભાત નગરની મુલાકાતે ગયા.
મોગલ સામ્રાજ્ય વખતનું જાહોજલાલીથી ભરપૂર વિશ્વનું પ્રખ્યાત બંદર ખંભાત નગરનું વર્ણન વર્તમાનમાં તો ફક્ત પુસ્તકરૂપે જ રહ્યું હોય એમ લાગ્યું. જગત પરિવર્તનશીલ છે. દરેક ક્ષણે • બદલાય છે. કોઈ વસ્તુ શાશ્વતરૂપે રહેતી નથી એ ધ્રુવ સત્ય છે. છતાં પણ ખંભાતના ભાતીગળ ભૂતકાળની ભવ્યતાનાં દર્શન તેમાં આવેલાં જિન મંદિરો રૂપે દેરાસરોમાં થયાં. આજે પણ ખંભાતમાં એકમેકથી ચડિયાતા ૮૫થી વધુ દેરાસરો જોવા મળે છે. તેમાં બિરાજમાન તીર્થંકરોની ભવ્ય મૂર્તિઓ પ્રાચીન ઈતિહાસની સાક્ષી પૂરે છે. કહેવાય છે કે આજે પણ જૈન મૂર્તિઓનો ખજાનો ખંભાતના પેટાળમાં હોવો જોઈએ.
આ ઉપરથી ફલિત થાય છે કે એ કાળમાં જૈન પરિવારો ખૂબ જ સમૃદ્ધ હોવા જોઇએ, તેમાંનો એક પરિવાર તે કવિ ઋષભદાસનો પરિવાર.