SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૪૧ (૨) સંતોષનિયમ :- બીજી દૃષ્ટિમાં રહેલા યોગીઓ સંતોષરૂપ નિયમનું સેવન કરે છે=આત્મહિત સાધવા માટે સંતોષને કેળવવો જોઈએ, તે પ્રકારનું લક્ષ્ય કરીને પ્રકૃતિને સંતોષવાળી બનાવવા યત્ન કરે છે; અને સંતોષ જ્યારે સુઅભ્યસ્ત થાય છે ત્યારે યોગીઓને અતિશય સુખ પેદા થાય છે, જેની આગળ બાહ્ય ઇંદ્રિયોથી થયેલું સુખ ‘સો’મા ભાગે પણ આવતું નથી. (૩) તપનિયમ :- બીજી યોગદૃષ્ટિવાળા જીવો આત્માની શુદ્ધિ કરવા માટે તપની રુચિવાળા હોય છે, અને આત્મકલ્યાણ માટે કોઈક બીજી દૃષ્ટિવાળા યોગી તપમાં યત્ન કરતા હોય અને તેનો તપ સુઅભ્યસ્ત બને તો કાયામાં રહેલી અશુચિનો પણ ક્ષય થઈ જાય છે. તેથી તેની કાયાનાં પુદ્ગલો પણ પવિત્ર બની જાય છે, અને અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રગટે છે. સુઅભ્યસ્ત તપથી ક્લેશાદિ અશુચિનો ક્ષય થવાથી કાયા અને ઇંદ્રિયોની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે; અર્થાત્ શરીરને અણું જેટલું બનાવવાની શક્તિ અને મોટું બનાવવાની શક્તિ પ્રગટ થાય છે, અને ઇંદ્રિયોમાં સૂક્ષ્મ, વ્યવહિત ભીંત આદિથી વ્યવધાનવાળા અત્યંત દૂર રહેલા પદાર્થને જોવાનું સામર્થ્ય પ્રગટે છે. (૪) સ્વાધ્યાયનિયમ :- સ્વાધ્યાય એટલે પ્રણવપૂર્વક મંત્રનો જાપ. બીજી દૃષ્ટિવાળા યોગી યોગમાર્ગની સાધનાના અર્થે સ્વાધ્યાયમાં યત્ન કરે છે, જે જપરૂપ છે; અને તેનાથી જે ઇષ્ટદેવતાનો જાપ કરે છે, તે દેવતાનું દર્શન પણ થાય છે. આશય એ છે કે જ્યારે મંત્રજાપ સુઅભ્યસ્ત બને છે ત્યારે તે મંત્રથી અભિપ્રેત એવા દેવતાનું પોતે સાક્ષાત્ દર્શન કરતો હોય તેવો પરિણામ પણ પ્રગટ થાય છે. (૫) ઈશ્વરપ્રણિધાન :- સર્વ ક્રિયાઓના ફળમાં નિરપેક્ષપણાથી ઈશ્વરને સમર્પણ લક્ષણ ઈશ્વર પ્રણિધાન છે. આ ઈશ્વરપ્રણિધાનથી સમાધિમાં અંતરાય કરનારા ક્લેશોનો નાશ થવાથી સમાધિ પ્રગટે છે. તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન આ ત્રણે પણ શોભન અધ્યવસાય હોવાને કારણે ક્લેશરૂપ કાર્યના પ્રતિબંધ દ્વારા સમાધિને અનુકૂળ બને છે. -: બીજી દૃષ્ટિમાં પ્રગટ થતું ઉદ્વેગનું વર્જન : ઉદ્વેગ એટલે કષ્ટસાધ્યતાજ્ઞાનજનિત આળસ, તેનું વર્જન :- આ અનુષ્ઠાન અસાધ્ય નથી, પરંતુ કષ્ટસાધ્ય છે, તેમ જાણીને તે અનુષ્ઠાનમાં શક્તિ પ્રમાણે યત્ન ન કરે, પણ આળસ કરે તો, શરીરથી થાકેલો ન હોય અને ક્રિયા કરતો હોય તોપણ, ઉદ્વેગના વશથી અનુત્સાહથી ક્રિયા કરે છે. તેથી તે ક્રિયા કરતો હોવા છતાં તેનાથી સુખ પ્રાપ્ત કરતો નથી અર્થાત્ ઉપશમભાવના સુખને અનુભવતો નથી, અને ઉદ્વેગથી કરાયેલી ક્રિયા રાજવેઠ જેવી છે. બીજી દૃષ્ટિમાં આવેલા યોગીને ક્રિયામાં આવો ઉદ્વેગદોષ હોતો નથી. પહેલી દૃષ્ટિવાળા અને બીજી દૃષ્ટિવાળા જીવોના અનુષ્ઠાન વચ્ચેનો ભેદ : સામાન્ય રીતે પહેલી દૃષ્ટિમાં આવેલા જીવો ખેદદોષ વગરના હોય છે, તેથી ધર્મકાર્ય કરવાનું આવે તો ઉત્સાહથી કાર્ય કરે છે. આમ છતાં તે કાર્ય કષ્ટસાધ્ય જણાય તો ઉદ્વેગ દોષ પહેલી દૃષ્ટિમાં આવી શકે છે;
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy