________________
એ સરોવરનું અમૃતસમાન જળ જોઈને, હે પ્રિયે ! મારો આત્મા જીવનયુક્ત થયો, અંતઃકરણ ઉલ્લાસ પામ્યું અને ઈન્દ્રિયો તથા રોમરાય વિકસ્વર થયા. હે સુંદરી ! મેં એના જળમાં અવગાહન કરવાને હર્ષસહિત પ્રવેશ કર્યો; જેમ કોઈ પરાક્રમી ક્ષત્રિય દુશ્મનના સૈન્યનું મંથન કરવાને એ સૈન્યને વિષે પ્રવેશ કરે તેમ. જળમાં મેં મત્સ્યની જેમ યથેચ્છ ક્રીડા કરી, મરૂદેશ-મારવાડના પ્રવાસીની પેઠે, એનું યથેચ્છ પાન કર્યું અને શૌચવાદીની જેમ એમાં સારી રીતે સ્નાન કર્યું. આમ જળને ઉચિત સર્વ ક્રિયાઓ કરીને જેવો હું બહાર નીકળવા જાઉં છું ત્યાં તો સરોવરમાંથી એક સ્વરૂપવાન નાગકન્યાને નીકળતી દીઠી.
એ કન્યાનું સૌંદર્ય જોઈને વિસ્મય પામી મેં વિચાર્યું-જે પ્રજાપતિબ્રહ્માએ પોતાની પુત્રીને પણ છોડી નથી એ આ કન્યાને સરજીને એને વિષે લુબ્ધ થયો નહીં એ પણ એક આશ્ચર્ય જ છે. નિશ્ચયે એનું મનહર મુખ જોઈને, રંભા નામની અપ્સરાએ ચંદ્રમારૂપી દર્પણને વિષે પોતાનું અમૃતમય વંદન નીહાળતાં જ પોતાનો ગર્વ સર્વ ગળી જવાથી જે ઊંડો નિશ્વાસ મૂક્યો હશે તેને લીધે જ એ ચંદ્રમાને વિષે કાળાશ થયેલી છે; લોકો એને વિષે જે લાંછનની વાત કહે છે એ અસત્ય છે ! સર્વ ચરાચર જગતને જીતવાને તત્પર એવા કામદેવના હસ્તને વિષે જો એ સ્ત્રીના કટાક્ષરૂપી બાણ હોય તો નિઃસંશય કંદમૂળ કે ફળપત્રનો આહાર કરનારા, કે બહુ દિવસ, પક્ષ કે માસ પર્યન્તના ઉપવાસ રૂપી તીવ્ર તપશ્ચર્યા કરનારા યોગીજનો પણ એની પાસે લેશમાત્ર પણ ટકી શકે નહીં.
હે સુલોચના ! હું આવા આવા વિચાર કરતો હતો ત્યાં તો એ નાગકન્યા સરોવરમાંથી નીકળી તેની પાસેના એક શીતળ વડના વૃક્ષની નીચે બેઠી; તે જાણે એ વૃક્ષની અધિષ્ઠતા દેવી જ હોય નહીં ! હે રાણી ! વળી એવામાં જ એ વૃક્ષપરથી કાળપાશની જેવો અતિ ભયંકર ગોનસ જાતિનો સર્પ ઉતરીને હર્ષસહિત એની પાસે આવ્યો. પેલી ૧નાગ
૧. નાગકન્યા એટલે સર્પકન્યા નહીં પણ નીચે “પાતાળ” કહેવાતા પ્રદેશમાં વસતી કહેવાતી કોઈ અલૌકિક સૌંદર્યવાળી જાતિની કન્યા. (નાગલોક=પાતાળલોક)
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
.