________________
સાસુને પગે સાપ કરડે છે અને આર્તધ્યાન કરવાના કારણે વહુને વાંદરો કરડે છે. પડોસણને પગે વીંછી ડંખ મારે છે.
આ રીતે આ પૂતળીઓ ઉપદેશ આપે છે કે સંસારમાં સુખી થવું હોય તો તીર્થમાં ધન અવશ્ય ખરચવું અને ઘરમાં સંપ રાખવો. નહિ તો આ સ્ત્રીઓ જેવા હાલ થશે. કદી પણ કલહ ન કરવાનો નિશ્ચય કરીને આગળ વધીએ.
અનાદર, આળસ, અનાચાર, અભિમાન અને અસહિષ્ણુતા આ પાંચ દુષ્ટ તત્ત્વો પરિવાર માટે અભિષાપ છે. જ્યારે સ્નેહ, સત્વ, સદાચાર, સૌમ્યતા અને સહિષ્ણુતા આ પાંચ તત્ત્વો પરિવાર માટે આશીર્વાદ સમાન છે.
મૂળનાયકના મુખ્ય મંદિરની પાછળ ગઢના એક ભાગમાંથી જોઇએ તો સામે ભાડવાનો ડુંગર (જ્યાં શાંબ-પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ સાથે મોક્ષે ગયા છે.) છ ગાઉની પ્રદક્ષિણા કેડી તથા ઘેટીની પાગે જવાનો વળાંક લેતો મનોહર રસ્તો દેખાય છે. દૂરથી આપણે વંદના કરીએ. ‘નમો જિણાણું.'
આ ટૂંકમાં રહેલા અજિતનાથ-ચંદ્રપ્રભસ્વામી વગેરે સર્વ જિનેશ્વરોને ‘નમો જિણાણું.' કરીને બહાર નીકળતા નીચેના ભાગમાં કુંડની બાજુમાં પ્રેમચંદ શેઠની કુળદેવી ખોડીયાર માતા શોભે છે.
અદબદજી દાદા : નીચે ઉતરતાં બાળકોને અતિશય આનંદ આપતી અદબદજી દાદાના હુલામણા નામે પ્રસિદ્ધ પહાડમાં કોતરેલી અદ્ભૂત આદિનાથજીની મૂર્તિ દેખાઇ રહી છે. ૧૪ ફૂટ પહોળી અને ૧૮ ફૂટ ઊંચી આ પ્રતિમાની વિ.સં. ૧૬૮૬માં ધર્મશેઠે પ્રતિષ્ઠા કરાવી છે. સમગ્ર વર્ષમાં માત્ર એક જ દિવસ-વૈશાખ વદ છઠ્ઠના દિને આ દાદાનો પક્ષાલ-પૂજા વગેરે થઇ શકે છે.
અદબદજી દાદાને વંદના કરીએ. ‘નમો જિણાણું.' હવે આ આવી તે છે સાતમી બાલાભાઇની ટૂંક.
સાતમી ટૂંકે જઇ લોભ ન કરશો
(૭) બાલાભાઇની ટૂંક : મુંબઇમાં પ્રસિદ્ધ ગોડીજી દેરાસર બંધાવનાર ઘોઘા નિવાસી દીપચંદભાઇ (બાલાભાઇ)એ શત્રુંજય ગિરિરાજ ઉપર વિ.સં. ૧૮૯૩માં આ ટૂંક બંધાવી. મૂળનાયક શ્રી આદેશ્વર ભગવાનને વંદના સ્તુતિ-સાથિયોચૈત્યવંદનાદિ કરીએ.
ઉપર ચૌમુખજી વગેરે ભગવાનને વંદના કરીએ. ‘નમો જિણાણું.’ પુંડરિકસ્વામી આદિ જે જે ભગવંતો અત્રે બિરાજે છે તે સર્વેને પણ વંદના કરીએ. ‘નમો જિણાણું.’ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૧૭