________________
• વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
શિષ્ય ઘણીવાર ભાખરી, થેપલા, રોટલા વગેરે આપવાનો પ્રયત્ન કર્યો, બહાના કાઢ્યા કે ‘આ બધું આહાર જ ગણાય. સાધુપણામાં આ બધા દ્રવ્યો અલગ નથી ગણાતા.'
પણ આચાર્યશ્રી શિષ્યની ચાલાકી સમજતા જ હતા, એમણે રોટલી સિવાયની દરેકે દરેકે વસ્તુનો ત્યાગ કર્યો.
દાળ ગરમ-ઠંડી ગમે તે આવે, તુવેર-મગ ગમે તે આવે... બધું ચાલે. રોટલી ઠંડી-ગરમ, જાડી-પાતળી, નાની-મોટી, કાચી-પાકી... બધુ ચાલે,
શિષ્યે કંટાળીને મોટા આચાર્યને ફરિયાદનો પત્ર લખ્યો, ત્યાંથી ઓર્ડર આવ્યો કે ‘તમારે બે નહિ, પણ ત્રણ દ્રવ્ય વાપરવા...'
એટલે સવા મહિના બાદ દાળ+રોટલી+કેળા એમ ત્રણ દ્રવ્યનો એકાસણા આખું ચોમાસું કર્યા. ઘડપણના કારણે શિષ્યે એકવાર દાળ-રોટલી ચૂરીને ઢોકળી બનાવીને આપી, તો ના પાડી દીધી, ‘બહુ સુંવાળા નહિ બનવાનું, દાંતને કસરત કરાવવી પડે.’
‘આપનું શરીર ઉતરી ગયું છે-' આવી ફરીયાદ કરી, તો જવાબ હાજ૨ જ હતો. ‘આમ પણ છેલ્લી ઉંમરમાં શરીરનો મેદ ઉતારવાનો જ હોય છે. એટલે હું તો પ્રભુની આજ્ઞા જ પાળું છું...'
એની પૂર્વેના ચોમાસામાં પણ ૩ દ્રવ્યના એકાસણા કરેલા.
(આ આચાર્ય ભ. સાથે ગયા વર્ષે દોઠ-બે મહિના સાથે રહેવાનો લાભ મને પણ મળેલો, એમની એકે-એક જીવનચર્યામાં સંયમ નીતરતું જોવા મળે. પ્રકાંડ વિદ્વાન, મહાન સંયમી આશ્ચર્ય જનક જીંદગી... ૮૪ વર્ષની ઉંમરે પણ આવું જીવન જીવી શકાય છે... વ્હીલચેર ન વાપરવી પડે, એ માટે મોટા ભાગે અમદા.માં જ અલગ અલગ સંઘોમાં વિચરે છે.
એમની કેટલીક વિશિષ્ટ બાબતો ફરી ક્યારેક જોશું...)
અનવસ્થા અટકાવો
“સાહેબજી! એક પ્રશ્ન પૂછું ? મેં હમણા આપના શિષ્ય પાસેથી સાંભળ્યું કે ‘આપ ગિરનારજી ગયા, છતાં ગિરનારજીની યાત્રા ન કરી.' એ શું સાચી વાત ?’
૭૬ વર્ષના એક વૃદ્ધ મુનિરાજને મેં શંખેશ્વરમાં પ્રશ્ન કર્યો.
દિવસ હતો માર્ચ ૧૦ થી માર્ચ ૨૨ સુધીનો! વિ.સં.૨૦૬૯! ફાગણ માસ! આશરે સોળેક સાધુઓનું એ વૃંદ!
આ વૃદ્ધ મહાત્મા એમના ગુરુ! પણ પદવી નહિ.
દીક્ષાપર્યાય ૩૮ વર્ષ આસપાસ!