________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
* એમની ઉપધિનું વજન કદાચ તમામ સાધુ-સાધ્વીઓમાં સૌથી વધારે હશે. બધું ઉંચકીને જ વિહાર કરે.
* એ એક વૃદ્ધ સાધુની સેવામાં હતા. સવારે વૃદ્ધ સાધુને એમના આસન સાથે પોતે એકલા જ ઉપાડી લે, અને છેક દેરાસરમાં ભગવાનની સામે ઉંચકીને લઈ જાય, ત્યાં ચૈત્યવંદન કરાવીને વળી પાછા ઉંચકીને છેક એમના સ્થાને લાવી મૂકે.
* એક ગ્લાન વૃદ્ધ સાધુને ફ્રૂટ વપરાવવાનો આદેશ ડોક્ટરોએ કરેલો. એ સાધુને ફ્રૂટ ફાવે નહિ. પણ વપરાવવું અનિવાર્ય હતું. એટલે આ મહાત્મા તો ફ્રૂટ લઈ આવ્યા અને વૃદ્ધ સાધુને વાપરવા આપ્યું એ જોઈને એમને એટલો ગુસ્સો આવ્યો કે ત્યાં ને ત્યાં જોરથી એક તમાચો મારી દીધો. “તમને ખબર તો છે કે મને આ ફ્રૂટ નથી ફાવતું.”
લાફો ખાવા છતાં મુનિ મૌન રહ્યા, હસતા રહ્યા અને સમજાવી-પટાવીને એ ફ્રૂટ ગ્લાનવૃદ્ધને વપરાવી જ દીધું.
* એક વાર એક સાધુએ આ મુનિની ઉપધિ-વજન જોઈને કંઈક આવેશ સાથે કહ્યું “તમારે આટલું બધું ઉંચકવાની શી જરૂર છે ? તમે કંઈ મજુર છો ? કેટલી નકામી વસ્તુ ઉંચકી છે ?” જોગાનુજોગ એ જ દિવસે એ સાધુને ઠેસ લાગવાદિ કારણોસર વાગ્યું, આજુબાજુના ડોક્ટર મળ્યા નહિ. તરત જ આ મુનિએ First Aid Box કાઢી એમાં રાખેલી દવાથી ફટાફટ ઉપચાર કરી આપ્યા. પછી કહ્યું કે “મારી ઉપધિ એકાદ દિવસ પણ કોઈક મહાત્માના કામમાં આવે, તો મારો જન્મારો સફળ થાય. આ જ કારણસર આ બધી નકામી દેખાતી વસ્તુઓ પણ રાખી છે.” પેલા મહાત્માને પણ ખ્યાલ આપ્યો કે “સમર્થ સાધુ માટે આ રીતનો પરિગ્રહ પણ શાસ્ત્રીય = વાસ્તવિક છે...”
* એમને પાકી શંકા કે “તીર્થસ્થાનો વગેરેમાં પાણી ઉકાળનાર માણસોને કશી ખબર હોતી નથી. તેઓ ત્રણ ઉકાળા લાવતા નથી.” એટલે એ દરેક જગ્યાએ પોતાની નજર સામે ત્રણ ઉકાળા આવે, એ પછી જ પાણી વહોરે. (શ્રાવકોના ઘરોમાં એ શંકાનું કોઈ કારણ નથી, માટે ત્યાં વહોરે)
* જ્યારે એમને માંડલીનું પાણી લાવવાનું કામ સોંપાયું, ત્યારે વ્યવસ્થાપકે એમને કહેલું કે “તમારે ત્રણ ઘડા પાણી ઠારી, ગાળીને ઘડામાં ભરવું.”
આમની જીવદયાની કાળજી ખૂબ સારી ! એટલે એ ત્રણ ઘડા પાણી પરાતોમાં ઠારે તો ખરા, પણ એ પરાતો જો ખુલ્લી રહે તો માખી વગેરે ઉડતા ત્રસ જીવો પાણીમાં પડીને મરી જાય. આવું ન થવા દેવા માટે તે મચ્છરદાની બાંધે, અને એની અંદર પરાતો ગોઠવી રાખે. પાણી ઠરી જાય, પછી મચ્છરદાની કાઢી નાંખીને ઘડામાં પાણી ભરે.
* એકાસણું ૪૮ મિનિટ પૂર્વે જ પૂર્ણ કરી દે.
૪૨