________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર એટલે પ્રેરણાનો મહાસ્રોત
-પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. શિષ્ય આ. વિજયહેમચંદ્રસૂરિ
ચરમતીર્થપતિ પરમાત્મા મહાવીરદેવે અંતિમસમયે આપેલી દેશનાના સંગ્રહરૂપ આ સૂત્ર આત્મહિતલક્ષી જીવો માટે પ્રેરણાના મહાસ્રોતરૂપ છે. એનું પઠન-પાઠન, વાચન અને શ્રવણ હૈયામાં રહેલ વૈરાગ્યકલ્પલતાને નવપલ્લવિત અને ફલાન્વિત બનાવે છે. ‘૩૬’ અધ્યયનોમાં અનેક વિષયોનું હૃદયંગમ નિરૂપણ કરેલ છે. તેના શબ્દો અત્યંત હૃદયસ્પર્શી છે. દશમા દ્રુમપત્રક અધ્યયનમાં શ્રી ગૌતમસ્વામીને ઉદ્દેશીને પ્રભુએ ૩૬-૩૬ વખત ‘સમયે ગોયમ મા પમાયણ' શબ્દો કહેલા, જે પ્રમાદી આત્માને ચિમકી આપી જાગૃત બનાવે છે. અનાથીમુનિ, મૃગાપુત્ર, ચિત્રસંભૂતિ આદિ ચરિત્રો બોધક ને વૈરાગ્યપ્રેરક છે.
પ્રથમ વિનય અધ્યયનથી શરું થતું આ સૂત્ર છત્રીશમા જીવાજીવ વિભક્તિ નામક અધ્યયનમાં પરિપૂર્ણ થાય છે. વિનય એ મૂળ છે, પાયો છે. જ્યારે અંતિમ અધ્યયન દ્વારા થતી મોક્ષપ્રાપ્તિ એ શિખર છે. આના અધ્યયનથી આત્માને ભવ્યપણાની છાપ પ્રાપ્ત થાય છે. ઘણા આત્માર્થી સાધુ-સાધ્વીજી આ સૂત્રને કંઠસ્થ કરી તેના સ્વાધ્યાય દ્વારા અત્યંતર તપની મહાન સાધના કરી રહ્યા છે. સારી વસ્તુની તો સદાય ખોટ રહેતી જ હોય છે. તેથી આ પ્રકાશન ખરેખર અનુમોદનીય છે, જેના પઠન-પાઠન-સ્વાધ્યાય કરવા દ્વારા સૌના શ્રમને સાર્થક કરે એ જ મંગલ કામના.
વિ. સં.૨૦૫૩ ભા. વદ-૭, ભાવનગર.