SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ નમુહુર્ણ અરિહંતાણં અને સામર્થ્યયોગની પ્રાપ્તિનું કારણ છે, એમ નક્કી થાય છે. આશય એ છે કે “અરિહંતોને નમસ્કાર થાઓ' એ પ્રકારની પ્રાર્થના અરિહંતોને શાસ્ત્રાનુસારી નમસ્કાર કરવાની ઇચ્છા સ્વરૂપ છે, અને તે રૂ૫ ઇચ્છાયોગના બળથી સાધુઓ કે શ્રાવકો સંચિતવીર્યવાળા થાય, ત્યારે શાસ્ત્રયોગ પ્રાપ્ત કરી શકે છે અને શાસ્ત્રયોગના બળથી સંચિતવીર્યવાળા થાય ત્યારે સામર્થ્યયોગ પ્રાપ્ત કરી શકે છે. આનાથી એ ફલિત થાય કે કોઈ શ્રાવક શાસ્ત્રને પરિપૂર્ણ પરતંત્ર થઈને શ્રાવકાચારનું પાલન કરી શકતા ન હોય તો પણ વારંવાર પરિપૂર્ણ શાસ્ત્રાનુસારે શ્રાવકાચારનું પાલન કરવાની જે ઇચ્છા કરે છે તે દેશવિરતિવિષયક ઇચ્છાયોગસ્વરૂપ છે અને તે ઇચ્છાયોગના બળથી સંચિતવીર્યવાળા થઈને પોતે સ્વીકારેલ શ્રાવકાચારનું સંપૂર્ણ યથાર્થ પાલન કરવા સમર્થ બને છે ત્યારે તેને દેશવિરતિવિષયક શાસ્ત્રયોગ પ્રાપ્ત થાય છે, અને શાસ્ત્રયોગ પ્રાપ્ત થયા પછી તે શ્રાવક સર્વવિરતિ સેવવાની વારંવાર ઇચ્છા કરે છે આથી જ તેવા શ્રાવકો વારંવાર સર્વવિરતિના સૂક્ષ્મ સૂક્ષ્મ ભાવોને જાણવા યત્ન કરે છે. ત્યારે તેમને સર્વવિરતિવિષયક ઇચ્છાયોગ પ્રાપ્ત થાય છે, આથી જ શાસ્ત્રયોગને સેવનારા શ્રાવક પ્રસંગે પ્રસંગે “હું ક્યારે સંયમ ગ્રહણ કરીશ ?” ઇત્યાદિની ઇચ્છા કરીને સર્વવિરતિવિષયક ઇચ્છાયોગને સેવે છે અને ઇચ્છાયોગના બળથી સર્વવિરતિ ગ્રહણ કર્યા પછી તે સાધુ સર્વવિરતિનું પાલન પરિપૂર્ણ શાસ્ત્રાનુસારી કરી ન શકે તો વારંવાર પરિપૂર્ણ શાસ્ત્રાનુસારે સર્વવિરતિનું પાલન કરવાની ઇચ્છા કરીને ઇચ્છાયોગને સેવે છે, અને જ્યારે પરિપૂર્ણ શાસ્ત્રાનુસાર સર્વવિરતિનું પાલન કરવા સમર્થ થાય ત્યારે શાસ્ત્રયોગને સેવે છે, અને શાસ્ત્રયોગના સેવન દ્વારા મહાશક્તિના પ્રકર્ષવાળા થાય ત્યારે સામર્થ્યયોગને પ્રાપ્ત કરે છે, તેથી શાસ્ત્રયોગની પ્રાપ્તિનું અને સામર્મયોગની પ્રાપ્તિનું કારણ પ્રથમ ઇચ્છાયોગ છે, એમ ફલિત થાય. અહીં પ્રશ્ન થાય કે પરિપૂર્ણ શાસ્ત્રાનુસારી ક્રિયા કરવારૂપ શાસ્ત્રયોગથી અતિરિક્ત એવો સામર્મયોગ શું છે ? તેથી કહે છે – સામર્થ્યયોગ અનંતરપણાથી મહાફળનો હેતુ છે અર્થાતુ શાસ્ત્રયોગ અનંતર મોહનો નાશ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવતો નથી, જ્યારે સામર્થ્યયોગ અનંતર મોહનો નાશ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે, તેમજ બીજા પ્રકારનો સામર્થ્યયોગ તો અનંતર મોક્ષની પ્રાપ્તિ કરાવે છે, માટે શાસ્ત્રયોગ કરતાં સામર્થ્યયોગ વિશેષ પ્રકારનો યોગ છે, એ પ્રમાણે યોગાચાર્યો કહે છે. અહીં પ્રશ્ન થાય કે ઇચ્છાયોગાદિનું સ્વરૂપ શું છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – યુક્તિરૂપી આગમથી સિદ્ધ, ઇચ્છાપ્રધાન અને ક્રિયાથી વિકલ એવા તત્ત્વધર્મનો વ્યાપાર અર્થાત્ જીવના અસંગભાવરૂપ તત્ત્વધર્મની નિષ્પત્તિને અનુકૂળ એવો ઉચિત વ્યાપાર, એ ઇચ્છાયોગ છે. શાસ્ત્રપ્રધાન અને ક્રિયાથી અવિકલ એવો તત્ત્વધર્મનો વ્યાપાર એ શાસ્ત્રયોગ છે. સામર્થ્યપ્રધાન અને ક્રિયાથી અધિક અર્થાત્ શાસ્ત્રમાં કહેલ મર્યાદા કરતાં વિશુદ્ધ મર્યાદાવાળો, તત્ત્વધર્મનો વ્યાપાર એ સામર્થ્યયોગ છે.
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy