________________
છઠ્ઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૮૧
શકુનિકાવિહાર ઉપર ચઢાવ્યો. તથા સુવર્ણમય દંડ ધ્વજા વગેરે આપ્યો અને માંગલિક દીપને અવસરે બત્રીસ લાખ દ્રમ્મ યાચકજનોને આપ્યા.
પહેલાં જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમંદિર કરાવવું ઉચિત છે. માટે જ સંપ્રતિ રાજાએ પણ પહેલાં નેવ્યાશી હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા, અને નવાં જિનમંદિર તો છત્રીસ હજાર કરાવ્યાં. આ રીતે કુમારપાળ, વસ્તુપાળ, વગેરે ધર્મિષ્ઠ લોકોએ પણ નવા જિનમંદિર કરતાં જીર્ણોદ્ધાર જ ઘણા કરાવ્યા. તેની સંખ્યા વગેરે પણ પૂર્વે કહી ગયા છીએ.
જિનમંદિર તૈયાર થયા પછી વિલંબ ન કરતાં પ્રતિમા સ્થાપન કરવી. શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે - બુદ્ધિશાળી પુરુષે જિનમંદિરમાં જિનબિંબની શીધ્ર પ્રતિષ્ઠા કરાવવી. કેમકે એમ કરવાથી અધિષ્ઠાયક દેવતા તુરત ત્યાં આવી વસે છે, અને તે મંદિરની આગળ જતાં વૃદ્ધિ જ થતી જાય છે. મંદિરમાં તાંબાની કુંડીઓ, કળશ, ઓરસીઓ, દીવા વગેરે સર્વે પ્રકારની સામગ્રી પણ આપવી, તથા શક્તિ પ્રમાણે મંદિરનો ભંડાર કરી તેમાં રોકડ નાણું તથા વાડી, બગીચા વગેરે આપવા. રાજા વગેરે જો મંદિર કરાવનાર હોય તો, તેણે ભંડારમાં ઘણું નાણું તથા ગામ, ગોકુળ વગેરે આપવું જોઈએ.
જેમકે-માલવ દેશના જાકુડી પ્રધાને પૂર્વે ગિરનાર ઉપર કાષ્ઠમય ચૈત્યને સ્થાનકે પાષાણમય જિનમંદિર બંધાવવું શરૂ કરાવ્યું, પણ તે દુર્દેવથી મરી ગયો. તે પછી એકસો પાંત્રીસ વર્ષ પસાર થયા ત્યારે સિદ્ધરાજ જયસિંહના દંડાધિપતિ સજ્જને ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર દેશની ઉપજ સત્તાવીસ લાખ દ્રમ્પ આવી હતી, તે ખરચી જિનપ્રાસાદ પૂરો કરાવ્યો.
સિદ્ધરાજ જયસિંહે ત્રણ વર્ષનું પેદા કરેલું દ્રવ્ય સજ્જન પાસે માગ્યું, ત્યારે તેણે કહ્યું કે, "મહારાજ! ગિરનાર પર્વત ઉપર તો દ્રવ્યનો સંગ્રહ કરી રાખ્યો છે." પછી સિદ્ધરાજ ત્યાં આવ્યો અને નવું સુંદર જિનમંદિર જોઈ હર્ષ પામી બોલ્યો કે, આ મંદિર કોણે બંધાવ્યું ! સજ્જને કહ્યું, "મહારાજા સાહેબે કરાવ્યું. આ વચન સાંભળી સિદ્ધરાજ બહુ જ અજબ થયો. પછી સજ્જને જેમ બની તેમ સર્વ વાત કહીને , અરજ કરી કે - "આ સર્વે મહાજનો આપ સાહેબનું દ્રવ્ય આપે છે, તે લ્યો; અથવા જિનમંદિર કરાવ્યાનું પુણ્ય જ લ્યો. આપની મરજી હોય તે મુજબ કરો.” પછી વિવેકી સિદ્ધરાજે પુણ્ય જ ગ્રહણ કર્યું, અને તેણે નેમિનાથજીના મંદિર ખાતે પૂજાને સારુ ઘણાં ગામ આપ્યાં.
તેમજ જીવિતસ્વામીની પ્રતિમાનું મંદિર પ્રભાવતી રાણીએ કરાવ્યું હતું. પછી અનુક્રમે ચંડપ્રદ્યોતન રાજાએ પ્રતિમાની પૂજાને સારું બાર હજાર ગામ આપ્યાં. તે વાત નીચે પ્રમાણે છે.
ઉદાયન રાજા તથા જીવિતસ્વામીની પ્રતિમાનું વૃત્તાંત ચંપાનગરીમાં સ્ત્રીલંપટ એવો એક કુમારનંદી નામનો સોની રહેતો હતો. તે પાંચસો સોનૈયા આપીને સુંદર કન્યા પરણતો હતો. આ રીતે પરણેલી પાંચસો સ્ત્રીઓની સાથે ઈર્ષાવાળો તે કુમારનંદી એક થંભવાળા પ્રાસાદમાં ક્રીડા કરતો હતો. એક વખતે પંચશૈલ દ્વીપની અંદર રહેનારી હાસા તથા પ્રહાસા નામની બે વ્યંતરીઓએ પોતાનો પતિ વિદ્યુન્માળી ચવ્યો, ત્યારે ત્યાં આવી પોતાનું રૂપ દેખાડી કુમારનંદીને વ્યામોહ પમાડયો.