________________
વિષયસુખની ઇચ્છાવાળાએ પણ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઇએ-૬૮૭
જાળ શિકારી લોકમાં પ્રસિદ્ધ છે. જાળમાં પડેલો મૃગ શોક કરે છે. શિકારી વડે પાંજરામાં પૂરાયેલ પોપટ વગેરે પક્ષી શોક કરે છે. તેવી રીતે પુણ્યને એકઠું ન કરનાર જીવ મરણકાળે પશ્ચાત્તાપ કરે છે. [૪૬૭]
વૈભવ, યૌવન અને સ્નેહ આદિ જે પદાર્થોમાં જીવો આસક્તિવાળા છે તે પદાર્થો પણ ક્ષણવારમાં નાશ પામનારા છે. તેથી પણ ધર્મમાં પ્રમાદ કરવો એ અજ્ઞાનતાનું જ સૂચન કરે છે એમ જણાવે છે–
जललवचलम्मि विहवे, विजुलयाचंचलम्मि मणुयत्ते । धम्मम्मि जो विसीयइ, सो काउरिसो न सप्पुरिसो ॥ ४६८॥
વૈભવ પાણીના બિંદુની જેમ અસ્થિર છે, મનુષ્યભવ વિદ્યુલતાની જેમ ચંચળ છે. આથી જે ધર્મમાં પ્રમાદ કરે છે તે કાયરપુરુષ છે, સપુરુષ નથી. [૪૬૮]
વળી જો તું વિષયવૃતિ આદિ સુખોને ઇચ્છે છે તો પણ ધર્મમાં જ ઉદ્યમ કર એમ ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે
वरविसयसुहं सोहग्गसंपयं पवररूवजसकित्ती । जइ महसि जीव! निच्चं, ता धम्मे आयरं कुणसु ॥ ४६९॥
હે જીવ! જો તું શ્રેષ્ઠ વિષયસુખ, સૌભાગ્ય, સંપત્તિ, શ્રેષ્ઠ રૂપ-યશ-કીર્તિને ઇચ્છે છે તો સદા ધર્મમાં આદર કર. [૪૬૯]
ધર્મ વિના પણ વાંછિતની સિદ્ધિ થશે એમ ન કહેવું. શા કારણથી તેમ ન કહેવું એ વિષે અહીં કહે છે–
धम्मेण विणा परिचिंतियाई जइ हुंति कहवि एमेव ।। ता तिहुयणम्मि सयले, न होज इह दुक्खिओ कोई ॥ ४७०॥
જો ચિંતવેલાં કાર્યો ધર્મ વિના એની મેળે જ કોઇપણ રીતે થતા હોય તો અહીં સંપૂર્ણ ત્રણ ભુવનમાં કોણ દુ:ખી હોય? અર્થાત્ કોઈ દુઃખી ન હોય. [૪૭૦].
ધર્મ-અધર્મ નથી એમ ન કહેવું. કારણ કે ધર્મ-અધર્મનું કાર્ય સુખ વગેરે જોવામાં આવે છે, આ પ્રમાણે પ્રગટ કરતા ગ્રંથકાર કહે છે
तुल्लेवि माणुसत्ते, जं के ईह सुहभागिणो जीवा । तं जीवा वतिरित्तं, धम्मं मोत्तुं न संभवइ ॥ ४७१॥
હે જીવો! મનુષ્યભવ સમાન હોવા છતાં અહીં જે કોઈક જ જીવો સુખના ભાગી થાય છે, તેમાં ધર્મને મૂકીને બીજું કોઈ કારણ સંભવતું નથી. [૪૭૧]